પાકિસ્તાનને ટેકો આપવાના તુર્કીના વલણ પર કડક વલણ અપનાવતા કેન્દ્ર સરકારે દેશની સૌથી મોટી એરલાઈન ઈન્ડિગોને 3 મહિનાની અંદર તુર્કી એરલાઈન્સ સાથેના તેના એરક્રાફ્ટ લીઝ સંબંધો સમાપ્ત કરવાનો નિર્દેશ આપ્યો છે. તુર્કિયેની ગ્રાઉન્ડ હેન્ડલિંગ કંપની સેલેબી એવિએશનની સુરક્ષા મંજૂરી રદ થયાના થોડા અઠવાડિયા પછી જ આ મોટું પગલું લેવામાં આવ્યું છે. સેલેબી દિલ્હી સહિત ભારતના 9 મુખ્ય એરપોર્ટ પર સેવાઓ પૂરી પાડી રહી હતી.


ભારત-તુર્કિયેના સંબંધોમાં ખટાશ આવી

આ આદેશ પાછળનું કારણ ઓપરેશન સિંદૂર દરમિયાન તુર્કીનો પાકિસ્તાનને ખુલ્લો ટેકો છે. આ ઓપરેશન ભારત દ્વારા 7 મેના રોજ જમ્મુ અને કાશ્મીરમાં પહેલગામ આતંકવાદી હુમલાના જવાબમાં શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં 26 નાગરિકો માર્યા ગયા હતા. આ હુમલા પછી ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા. જવાબી હુમલામાં, પાકિસ્તાને તુર્કી ડ્રોનનો ઉપયોગ કર્યો, જેનાથી ભારત-તુર્કી સંબંધોમાં ખટાશ આવી છે.

લીઝ માત્ર 3 મહિના માટે લંબાવવામાં આવી

ઈન્ડિગોએ તુર્કી એરલાઇન્સ પાસેથી બે બોઈંગ 777 વિમાન લીઝ પર લીધા છે, જેનો તે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ માટે ઉપયોગ કરે છે. અગાઉ, ઈન્ડિગોને 31 મે 2025 સુધી આ કરાર ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ હવે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ઈન્ડિગોની 6 મહિનાની એક્સટેન્શન માગણીને નકારી કાઢી છે. જોકે, મુસાફરોને અસુવિધા ટાળવા માટે 31 ઓગસ્ટ 2025 સુધી અંતિમ ત્રણ મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે. મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે આ એક વખતનો અને અંતિમ એક્સટેન્શન છે અને આ પછી કોઈ વધુ છૂટછાટ આપવામાં આવશે નહીં. ઈન્ડિગોએ પણ સ્વીકાર્યું છે કે તે આ સમયગાળામાં તુર્કી એરલાઈન્સ સાથેના આ લીઝ સંબંધનો અંત લાવશે.

સેલેબી એવિએશનની સુરક્ષા મંજૂરી રદ કરવામાં આવી હતી

ઈન્ડિગોના સીઈઓએ કહ્યું હતું કે એરલાઈન ભારતના તમામ નિયમોનું પાલન કરે છે અને જો સરકાર માર્ગદર્શિકામાં ફેરફાર કરે છે તો તે સંપૂર્ણપણે પાલન કરશે. તેમણે કહ્યું હતું કે, અમારા ગ્રાહકોની સેવા કરવી અમારી પ્રાથમિકતા છે, પરંતુ અમે સંપૂર્ણપણે સરકારી નીતિઓ અનુસાર કામ કરીએ છીએ. અગાઉ 15 મેના રોજ, સરકારે સેલેબી એવિએશનની સુરક્ષા મંજૂરી રદ કરી હતી. નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે કહ્યું હતું કે, તુર્કીએ ખુલ્લેઆમ પાકિસ્તાનને ટેકો આપ્યો છે, આ હવે રાષ્ટ્રીય સુરક્ષાનો મામલો છે.

  • Follow us on: