- ભારત કેનેડામાંથી મોટા પાયે મસૂરની કરે છે આયાત
- ભારત વપરાશ માટે મસૂરની આયાત પર નિર્ભર
- તણાવને કારણે બંને દેશની સરકારો વેપાર પર નિયંત્રણો લાદી શકે
ભારત મસૂરના વપરાશ માટે આયાત પર નિર્ભર છે. ગત વર્ષે કુલ આયાતમાંથી અડધાથી વધુ કેનેડામાંથી આયાત કરવામાં આવી હતી. અડદની દાળની જેમ મસૂર દાળના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. જેના પછી સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં સરકારે વેપારીઓ માટે મસૂરનો સ્ટોક જાહેર કરવો જરૂરી બનાવી દીધો હતો. ભારત કેનેડામાંથી મોટા પાયે મસૂરની આયાત કરે છે. પરંતુ ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં કેનેડામાં ભારતીય એજન્સીઓ સામેલ હોવાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોના આક્ષેપ પછી, કેનેડા દ્વારા ભારતને મસૂર વેચવાની ગતિ ધીમી પડી ગઈ છે. ત્યાંના ઉદ્યોગપતિઓને ડર છે કે ભારત સરકાર વેપાર પર નિયંત્રણો લાદી શકે છે, જેના કારણે વેચાણમાં ઘટાડો થયો છે.
બંને સરકારો વેપાર પર નિયંત્રણો લાદી શકે
ભારતમાં દાળનો ઉપયોગ પૌષ્ટિક આહારમાં મસૂરની કઢી બનાવવા માટે થાય છે. ભારત વપરાશ માટે મસૂરની આયાત પર નિર્ભર છે. ભારત કેનેડામાંથી મોટા પાયે મસૂરની આયાત કરે છે. રોઇટર્સના અહેવાલ મુજબ, ઉદ્યોગપતિઓને ડર છે કે બંને દેશો વચ્ચેના તણાવને કારણે બંને સરકારો વેપાર પર નિયંત્રણો લાદી શકે છે. ઓલમ એગ્રી ઈન્ડિયાના વરિષ્ઠ ઉપાધ્યક્ષ નીતિન ગુપ્તાએ કહ્યું છે કે આવી આશંકાઓ વેપારીઓને પરેશાન કરી રહી છે. જોકે, એક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે ભારત પાસે આવી કોઈ યોજના નથી અને સરકારે આયાતકારોને આવી કોઈ સૂચના આપવામા આવી નથી. કેનેડા પણ તેના તરફથી એવો કોઈ નિર્ણય લઈ રહ્યું નથી કે જેનાથી બંને દેશો વચ્ચેના સંબંધો વધુ બગડી શકે.
કેનેડામાંથી દાળની ખરીદી ઘટી છે
મસૂરના ઉત્પાદનમાં ઘટાડો થયા બાદ ભારતે વર્ષ 2023માં કેનેડામાંથી મોટા પાયે મસૂરની આયાત કરી છે. વેપારીઓનું કહેવું છે કે અત્યાર સુધી આયાત રદ થયાનું કોઈ ઉદાહરણ સામે આવ્યું નથી. મસૂલ દાળના ઉત્પાદનમાં ઘટાડો થયા બાદ ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. પરંતુ કેનેડાના વડાપ્રધાનના નિવેદન બાદ કેનેડાથી સપ્લાયના ભાવ 6 ટકા ઘટીને પ્રતિ મેટ્રિક ટન 770 ડોલર થઈ ગયા છે. 2022-23માં કેનેડા ભારતને મસૂરની સપ્લાય કરતો સૌથી મોટો દેશ હતો. 31 માર્ચ, 2023 સુધીમાં, ભારતે કેનેડામાંથી $370 મિલિયનની કિંમતની 4.86 લાખ મેટ્રિક ટન દાળની આયાત કરી હતી. જે ભારતની કુલ આયાતના 50 ટકાથી વધુ હતી. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે એપ્રિલથી જુલાઈની વચ્ચે કેનેડામાંથી મસૂર દાળની આયાતમાં 420 ટકાનો ઉછાળો આવ્યો છે.
ઑસ્ટ્રેલિયામાંથી ખરીદીમાં વધારો
ભારતમાં દર વર્ષે 2.4 મિલિયન મેટ્રિક ટન દાળનો વપરાશ થાય છે. જ્યારે સ્થાનિક ઉત્પાદન માત્ર 1.2 મિલિયન મેટ્રિક ટન છે જે આયાત દ્વારા પૂર્ણ થાય છે. જોકે કેનેડામાંથી મસૂરની ખરીદીમાં ઘટાડો થયા બાદ ઓસ્ટ્રેલિયામાંથી ખરીદી વધી છે.
સરકાર પર દબાણ
વિધાનસભા અને લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારત માટે કેનેડિયન દાળની અવગણના કરવી ખૂબ મુશ્કેલ હશે. ઉપભોક્તા બાબતોના મંત્રાલયના સચિવ રોહિત કુમાર સિંઘે તાજેતરમાં કહ્યું હતું કે ભારત કેનેડામાંથી મસૂરની આયાત વધારવા જઈ રહ્યું છે જેથી કરીને તહેવારોની ઋતુમાં ગ્રાહકોને વાજબી ભાવે મસૂર ઉપલબ્ધ કરાવી શકાય.