ઓઈલ ઈન્ડિયા લિમિટેડ (OIL) ને અંદમાન દરિયાઈ ક્ષેત્રમાં પ્રાકૃતિક ગેસ (Natural Gas) ની શોધમાં વધુ એક મોટી સફળતા મળી છે. આ બ્લોકનો આ બીજો એવો કૂવો છે જ્યાં ગેસ હોવાની પુષ્ટિ થઈ છે. આ શોધથી ભવિષ્યમાં દેશમાં સ્થાનિક ગેસનું ઉત્પાદન વધશે અને અન્ય દેશો પરથી આયાતની નિર્ભરતા ઘટશે તેવી પ્રબળ આશા જાગી છે.
તેલ અને ગેસના સંકેત આપતો આ બીજો કૂવો છે
સરકારી તેલ અને ગેસ કંપની ઓઈલ ઈન્ડિયા લિમિટેડે શુક્રવારે જણાવ્યું હતું કે, અંદમાનના છીછરા દરિયાઈ વિસ્તારમાં (Shallow Offshore Block) ખોદવામાં આવેલા ત્રીજા શોધખોળ કૂવામાં કુદરતી ગેસ મળી આવ્યો છે. આ બ્લોકમાં હાઇડ્રોકાર્બન (તેલ અને ગેસ) ના સંકેત આપતો આ બીજો કૂવો છે.
અંદમાન તટથી માત્ર 15 કિલોમીટર દૂર મળ્યો ભંડાર
કંપનીના જણાવ્યા અનુસાર, 'વિજયપુરમ-3' (Vijayapuram-3) નામનો આ કૂવો અંદમાન દ્વીપસમૂહના પૂર્વીય કિનારાથી અંદાજે 15 કિલોમીટર દૂર ખોદવામાં આવ્યો છે. આ કૂવો 355 મીટર ઊંડા દરિયાઈ વિસ્તારમાં આવેલો છે અને તેને ઓપન એક્રેજ લાયસન્સિંગ પોલિસી (OALP) હેઠળ વિકસાવવામાં આવી રહેલા ઓફશોર અંદમાન બ્લોક AN-OSHP-2018/1 માં ડ્રિલ કરવામાં આવ્યો છે.
પરીક્ષણ દરમિયાન થઈ ગેસની પુષ્ટિ
ઓઈલ ઈન્ડિયાએ માહિતી આપી છે કે, આશરે 1,900 મીટરથી વધુની ઊંડાઈએ આવેલા ઈઓસીન (Eocene) માળખામાં કરાયેલા પ્રારંભિક ઉત્પાદન પરીક્ષણ દરમિયાન સતત ગેસ નીકળવા અને ફ્લેરિંગ દ્વારા નેચરલ ગેસની હાજરીની પુષ્ટિ થઈ હતી. કૂવામાં છિદ્રીકરણ કર્યા પછી દબાણ ઝડપથી વધ્યું તેમજ ગેસનું ઉત્પાદન શરૂ થઈ ગયું છે. હાલ ગેસના સેમ્પલની તપાસ કરવામાં આવી રહી છે, જેથી તેની ક્ષમતા (Calorific Value) અને ગુણવત્તા જાણી શકાય.
પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ આપી માહિતી
કેન્દ્રીય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' (ટ્વિટર) પર અંદમાનમાં ઓઈલ ઈન્ડિયાને મળેલી આ મોટી સફળતાની વિગતો શેર કરી છે.
અગાઉ પણ મળ્યા હતા સંકેતો
આ પહેલા સપ્ટેમ્બર 2025માં ઓઈલ ઈન્ડિયાએ આ જ બ્લોકના બીજા કૂવા 'વિજયપુરમ-2' માં નેચરલ ગેસ મળવાની જાહેરાત કરી હતી. અત્યાર સુધી આ બ્લોકમાં કુલ ત્રણ કૂવા ખોદવામાં આવ્યા છે, જેમાંથી બેમાં હાઇડ્રોકાર્બનની હાજરી મળી છે. કંપનીનું માનવું છે કે આ શોધથી આ વિસ્તારમાં તેલ અને ગેસના મોટા ભંડાર હોવાની શક્યતા મજબૂત થઈ છે.
આગામી પ્લાન: 3D સિસ્મિક સર્વે
સપ્ટેમ્બર 2025ની સફળતા બાદ કંપનીએ આ વિસ્તારમાં વધુ મૂલ્યાંકન શરૂ કર્યું હતું. આ અંતર્ગત વધારાના 600 ચોરસ કિલોમીટર વિસ્તારમાં 3D સિસ્મિક સર્વે પણ પૂર્ણ કરવામાં આવ્યો છે. આ ડેટા પ્રોસેસિંગનું કામ ચાલી રહ્યું છે, જે પૂરૂ થયા બાદ કંપની નવા કૂવાઓનું ડ્રિલિંગ શરૂ કરશે.
દેશની ઉર્જા સુરક્ષા મજબૂત બનશે
પેટ્રોલિયમ મંત્રાલય હેઠળ કામ કરતી મહારત્ન કંપની ઓઈલ ઈન્ડિયાની આ શોધ ભારતની ઉર્જા સુરક્ષા (Energy Security) માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જો ભવિષ્યમાં અહીં મોટા પાયે ગેસના ભંડારની સત્તાવાર પુષ્ટિ થશે, તો ભારતની અખાતી અને અન્ય દેશો પરની ગેસ આયાતની નિર્ભરતા ઘણી ઓછી થઈ જશે.
વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો