નવા નાણાકીય વર્ષ 2025-26 શરૂ થવામાં થોડા જ દિવસો બાકી છે. નવું નાણાકીય વર્ષ મંગળવાર, 1 એપ્રિલથી શરૂ થશે. આવી સ્થિતિમાં ઘણા નિયમોમાં પણ ફેરફાર થવાના છે. જે કરોડો લોકોના જીવનને અસર કરશે. ત્યારે જાણી લો કે કયા ફેરફારો થવાના છે જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે.
કોઈ કંપનીનું ડિવિડન્ડ નહીં મળે
જો તમે હજુ સુધી તમારા પાનકાર્ડ સાથે આધારકાર્ડને લિંક કરાવ્યું નથી તો તમને 1 એપ્રિલ, 2025થી ડિવિડન્ડ મળવાનું બંધ થઈ જશે. આ પછી ડિવિડન્ડ અને મૂડી લાભમાંથી ટીડીએસ કપાત પણ વધશે. એટલું જ નહીં, તમને ફોર્મ 26ASમાં કોઈ ક્રેડિટ મળશે નહીં.
મ્યુચ્યુઅલ ફંડ અને ડીમેટ એકાઉન્ટ્સ
મ્યુચ્યુઅલ ફંડ અને ડીમેટ એકાઉન્ટ માટેના નિયમો ખૂબ જ કડક બની રહ્યા છે. સેબી દ્વારા નોન-બેન્કિંગ નાણાકીય કંપનીઓ માટે બનાવેલા નવા નિયમો લાગુ થવા જઈ રહ્યા છે. નવા નિયમો અનુસાર બધા વપરાશકર્તાઓએ તેમના KYC અને બનાવેલા નોમિનીની બધી વિગતો ફરીથી ચકાસવી પડશે. જો તમે આ નહીં કરો તો તમારું ખાતું પણ ફ્રીઝ થઈ શકે છે. બીજી તરફ દેશમાં વધતી જતી નાણાકીય છેતરપિંડીને ઘટાડવા માટે NPCI 1 એપ્રિલ, 2025થી UPIના નિયમોમાં મોટો ફેરફાર કરવા જઈ રહ્યું છે. જો તમે જે બેન્ક ખાતા દ્વારા UPIનો ઉપયોગ કરી રહ્યા છો તો તેની સાથે જોડાયેલ મોબાઈલ નંબર લાંબા સમયથી નિષ્ક્રિય હોય તો આવી UPI ID 1 એપ્રિલથી બંધ થઈ જશે.
કર વ્યવસ્થામાં પણ ફેરફાર કરાશે
જો તમે નવી કર વ્યવસ્થા પસંદ કરો છો અને હવે જૂની કર વ્યવસ્થામાં પાછા જવા ઈચ્છો છો તો તમે આ ફેરફારો પણ કરી શકો છો. જો તમે ટેક્સ ફાઈલિંગ સમયે જૂની ટેક્સ સિસ્ટમ જાહેર નહીં કરો તો સિસ્ટમ આપમેળે તમને નવી ટેક્સ સિસ્ટમમાં મૂકી દેશે.