ભારતીય રિઝર્વ બેંક (RBI) મધ્યમ વર્ગને મોટી રાહત આપવાની તૈયારી કરી રહ્યું છે. ઘણા નિષ્ણાતોના કહેવા મુજબ ભારતીય રિઝર્વ બેન્ક વપરાશ અને તરલતા વધારવા માટે લોનના વ્યાજ દરમાં ઘટાડો કરી શકે છે. આ ઘટાડો 25થી 50 બેસિસ પોઈન્ટ સુધીનો હોઈ શકે છે. જોકે, રૂપિયામાં ઘટાડો આરબીઆઈ માટે ચિંતાનો વિષય રહી શકે છે.
રેપો રેટ ઘટાડવામાં આવશે તો ફુગાવો પણ વધી શકે
તમને જણાવી દઈએ કે છૂટક ફુગાવો વર્ષના મોટાભાગના સમય માટે રિઝર્વ બેન્કની 6 ટકાની મર્યાદામાં રહ્યો છે. આ કારણોસર, ઓછા વપરાશથી પ્રભાવિત વૃદ્ધિને વેગ આપવા માટે કેન્દ્રીય બેન્ક પણ દરમાં ઘટાડો કરી શકે છે. જોકે, કેટલાક નિષ્ણાતો એવું પણ માને છે કે કેન્દ્રીય બેન્ક હાલમાં બજેટમાં કોઈ ફેરફાર કરશે નહીં. કારણ કે ફુગાવો હમણાં જ સ્થિર થવા લાગ્યો છે. આવી સ્થિતિમાં જો રેપો રેટ ઘટાડવામાં આવશે તો ફુગાવો વધી પણ શકે છે.
RBIની બેઠક 7 ફેબ્રુઆરી સુધી રહેશે ચાલુ
ભારતીય રિઝર્વ બેન્કની નાણાકીય નીતિ બેઠક 5 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે, જે 7 ફેબ્રુઆરી સુધી ચાલુ રહેશે. આ પછી સેન્ટ્રલ બેન્કના ગવર્નર રેપો રેટ અને અન્ય નિર્ણયો વિશે માહિતી આપશે. આ બેઠકમાં રેપો રેટ ઉપરાંત ફુગાવો, જીડીપી અને અન્ય બાબતો વિશે પણ માહિતી આપવામાં આવશે. રિઝર્વ બેન્કના નવનિયુક્ત ગવર્નર સંજય મલ્હોત્રા તેમની પ્રથમ નાણાકીય નીતિ સમિતિ (MPC) બેઠકની અધ્યક્ષતા કરશે.
છેલ્લે ક્યારે રેપો રેટ બદલાયો હતો?
તમને જણાવી દઈએ કે ભારતીય રિઝર્વ બેન્કે ફેબ્રુઆરી 2023થી રેપો રેટ 6.5 ટકા પર યથાવત રાખ્યો છે. RBIએ છેલ્લી વખત કોવિડ (મે 2020) દરમિયાન દરમાં ઘટાડો કર્યો હતો અને તે પછી તેને ધીમે ધીમે 6.5 ટકા સુધી વધારવામાં આવ્યો હતો. ત્યારથી રેપો રેટમાં કોઈ ઘટાડો કરવામાં આવ્યો નથી. જેના કારણે બેન્કની લોન પણ મોંઘી થઈ ગઈ છે.
RBIએ લિક્વિડિટી વધારવાનો નિર્ણય લીધો
તાજેતરમાં ભારતીય રિઝર્વ બેન્કે તરલતા વધારવા માટે એક મોટો નિર્ણય લીધો છે. સિસ્ટમમાં તરલતા વધારવા માટે RBIએ 60,000 કરોડ રૂપિયાની સરકારી સિક્યોરિટીઝ ખરીદવાનો નિર્ણય લીધો છે. ડોલર-રૂપિયા સ્વેપ ઓક્શન દ્વારા લિક્વિડિટી વધારવાની પણ યોજના છે. આવી સ્થિતિમાં એવું પણ માનવામાં આવે છે કે RBI લોન દર ઘટાડીને તરલતા વધારી શકે છે.