જમીન કૌભાંડના ગંભીર આરોપો હેઠળ તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલની ધરપકડ બાદ મહેસૂલ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. તપાસમાં એક પછી એક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે, જેમાં નિવાસી કલેક્ટર (RAC) આર.કે. ઓઝાનું નામ પણ લાંચ લેવાના ગંભીર આક્ષેપોમાં સામે આવ્યું છે. નાયબ મામલતદારની કબૂલાત મુજબ, જમીન કૌભાંડમાં લાંચની રકમની ટકાવારી અગાઉથી નક્કી કરવામાં આવી હતી. આ ભ્રષ્ટાચારના નેટવર્કમાં લાંચની કુલ રકમના 50 ટકા હિસ્સો તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલને જતો હતો, જ્યારે 25 ટકા રકમ આર.કે. ઓઝાને આપવામાં આવી હોવાનો પર્દાફાશ થયો છે. આ ખુલાસાથી સરકારી આલમમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.


રાજેન્દ્ર પટેલની ધરપકડથી ફફડાટ

ભ્રષ્ટાચારના આ મસમોટા નેટવર્કની તપાસ હવે વધુ તેજ બની છે અને તપાસનો ધમધમાટ ED (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ) અને ACB (એન્ટી કરપ્શન બ્યુરો) સુધી પહોંચ્યો છે. તપાસ એજન્સીઓની રડારમાં હવે આર.કે. ઓઝા સહિત મહેસૂલ વિભાગના અનેક કર્મચારીઓ અને મધ્યસ્થીઓ આવી ગયા છે. નાયબ મામલતદારે તપાસ દરમિયાન કબૂલ્યું છે કે લાંચના નાણાંની વહેંચણી માટે પ્રોટોકોલ નક્કી હતો, જેનાથી સ્પષ્ટ થાય છે કે આ કોઈ છૂટોછવાયો કિસ્સો નહીં પણ વ્યવસ્થિત રીતે ચાલતું આખું કૌભાંડ હતું. આગામી દિવસોમાં આ મામલે વધુ ધરપકડો અને મોટા ખુલાસા થવાની પૂરેપૂરી શક્યતા છે.

આ પણ વાંચો : Ahmedabad News : વાહનચાલકોમાં રોષ, 'થિગડાં મારીને સંતોષ માનતા' તંત્ર સામે દધિચી બ્રિજ પર જનતાનો આક્રોશ

  • Follow us on: