અમરેલી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોય તેમ લાગી રહ્યું છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ગરમાવા વચ્ચે અમરેલી જિલ્લામાં ગુનેગારો બેફામ બન્યા છે. વડિયા તાલુકાના બરવાળા બાવીશી ગામમાં ટ્રેક્ટર ચલાવવા જેવી નજીવી બાબતના ઠપકાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા એક પરપ્રાંતી મજૂરે યુવકની પાઇપ અને પથ્થરોના ઘા મારી કરપીણ હત્યા નિપજાવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
ઠપકો આપી પરત ફરતા યુવક પર હુમલો
ઘટનાની મળતી માહિતી મુજબ, બરવાળા ગામના રહેવાસી અશોકભાઈ (કર્ણદેવ) વાળા નામના વ્યક્તિએ તેમની વાડીમાં કામ કરતા મધ્યપ્રદેશના પરપ્રાંતી મજૂર રવિ કારોલિયાને ટ્રેક્ટર સરખી રીતે ચલાવવા બાબતે ઠપકો આપ્યો હતો. ઠપકો આપીને કર્ણદેવભાઈ જ્યારે પરત ફરી રહ્યા હતા, ત્યારે ઉશ્કેરાયેલા મજૂર રવિએ પાછળથી હુમલો કર્યો હતો. લોખંડની પાઇપ અને પથ્થરોના જીવલેણ ઘા મારીને તેણે કર્ણદેવભાઈની નિર્મમ હત્યા કરી નાખી હતી.













