રાજ્યના પાટનગરની ગાંધીનગર કોર્ટ દ્વારા દુષ્કર્મ કેસમાં એક અત્યંત મહત્વપૂર્ણ અને દાખલારૂપ ચુકાદો આપવામાં આવ્યો છે. ચાંદખેડા વિસ્તારમાં વર્ષ 2016માં બનેલી શરમજનક ઘટનામાં આરોપી રમેશ પ્રજાપતિને ગાંધીનગર કોર્ટ દ્વારા દોષિત જાહેર કરવામાં આવ્યો છે. આ કેસમાં આરોપી રમેશ પ્રજાપતિને 14 વર્ષની સખત કેદની સજા અને 2 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
શું છે ચાંદખેડા દુષ્કર્મ કેસ?
ચાંદખેડા દુષ્કર્મ કેસની વિગતો અનુસાર, આરોપી રમેશ ઉર્ફે ટીના પ્રજાપતિએ પીડિત યુવતીને લગ્નની લાલચ આપીને વિશ્વાસમાં લીધી હતી. ત્યારબાદ આરોપીએ લાંબા સમય સુધી યુવતીનું શારીરિક શોષણ કર્યું હતું. ચોંકાવનારી વિગત એ છે કે, આ નરાધમે લગ્નના બહાને યુવતીને 13 વાર ગર્ભવતી બનાવી હતી. સ્ત્રીની મર્યાદા અને તેની જિંદગી સાથે ગંભીર ચેડા કરનારા આરોપી રમેશ પ્રજાપતિ વિરૂદ્ધ 2016માં ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.













