બોટાદ જિલ્લાના પાળીયાદ ગામના સીમ વિસ્તારમાં આવેલા જોગીડુંગરો વિસ્તારમાં આજે એક વ્યક્તિનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. શંકાસ્પદ સંજોગોમાં મૃતદેહ મળી આવતા આ હત્યા છે કે આત્મહત્યા તે દિશામાં અનેક તર્ક-વિતર્ક વહેતા થયા છે.


જોગીડુંગરો પાસે મળ્યો મૃતદેહ

ઘટનાની મળતી વિગતો અનુસાર, બોટાદ જિલ્લામાં આવેલા પાળીયાદના જોગીડુંગરો વિસ્તારમાંથી પસાર થતા લોકોએ એક વ્યક્તિને નિશ્ચેતન હાલતમાં પડેલો જોયો હતો. આ અંગે તુરંત જ સ્થાનિકોએ પોલીસને જાણ કરતા પાળીયાદ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે તપાસ કરતા મૃતકની ઓળખ રાજુભાઈ શવાભાઈ ઘોડકીયા તરીકે થઈ હતી.

તમામ દિશામાં તપાસ શરૂ

પોલીસ દ્વારા મૃતદેહનો કબ્જો મેળવી, પંચનામું કરી તેને પોસ્ટ મોર્ટમ માટે પાળીયાદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યો છે. જોગીડુંગરા જેવા શાંત વિસ્તારમાં આ રીતે મૃતદેહ મળી આવતા પોલીસ પણ સતર્ક બની છે. શું રાજુભાઈ સાથે કોઈ દુર્ઘટના બની છે કે, કોઈએ તેમની હત્યા કરી છે કે તેમને આત્મહત્યા કરી છે, તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી.

પાળીયાદ પોલીસ મથકના અધિકારીઓના જણાવ્યા મુજબ, મૃત્યુનું ચોક્કસ કારણ પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ જાણી શકાશે. હાલમાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી, રાજુભાઈના પરિવારજનોના નિવેદન લેવાની તજવીજ હાથ ધરી છે. આ ઘટનાને પગલે મૃતકના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.


આ પણ વાંચો - Botadના તુરખા ગામે લોહિયાળ ખેલ, સગીરાના અપહરણની ફરિયાદને દાઝમાં રાખી પરિવાર પર હુમલો


  • Follow us on: