બોટાદના તુરખા ગામે જૂની અદાવતમાં એક પરિવાર પર થયેલા જીવલેણ હુમલાએ સમગ્ર પંથકમાં ચકચાર જગાવી દીધી છે. સગીરાને ભગાડી જવાના મામલે નોંધાયેલી પોલીસ ફરિયાદની દાઝ રાખીને પાંચથી વધુ શખ્સોએ એક જ પરિવારના પાંચ સભ્યો પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો હતો, જેમાં એક મહિલાનું કરુણ મોત નીપજ્યું છે.


પાંચ જેટલા વ્યક્તિઓ તીક્ષ્ણ હથિયારો આવી પહોંચ્યા

મળતી માહિતી મુજબ ગત 12 તારીખે ગામની એક સગીરાને ભગાડી જવાની ઘટના બનવા પામી હતી. આ બાબતે જે તે સમયે પરિવારા દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. આ ફરિયાદનો ખાર રાખીને આજે બપોરાના સમયે જ્યારે ભોગ બનનાર પરિવાર પોતાના ઘરે શાંતિથી જમી રહ્યો હતો. ત્યારે અચાનક નાગજી સાગઠીયા અને મનોજભાઇ સહિત પાંચ જેટલા વ્યક્તિઓ તીક્ષ્ય હથિયારો સાથે ધસી આવ્યા હતા.

ઘરમાં જ કર્યો લોહિયાળ હુમલો

હુમલાખોરોએ જમવા બેઠેલા પરિવાર પર આડેધડ હથિયારોના ઘા ઝીંકવાનું શરૂ કર્યું હતું. આ હુમલામાં નાનીબેન પરમાર નામની મહિલાને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. પરિવારના અન્ય ચાર સભ્યો પણ લોહીલુહાણ હાલતમાં ઇજાગ્રસ્ત થયા હતા. મૃતક મહિલાના દેહને પોસ્ટમોર્ટમ માટે બોટાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા અન્ય ચાર સભ્યોને વધુ સારવાર માટે ભાવનગરની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે.

પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી

ઘટનાની જાણ થતા જ બોટાદ પોલીસનો કાફલો તુરખા ગામે દોડી ગયો હતો. પોલીસે હુમલાખોરોને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસ તેજ કરી છે. ગામમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. એક સામાન્ય કાયદાકીય પ્રક્રિયાનો બદલો લેવા માટે આ પ્રકારે આખા પરિવારને નિશાન બનાવવાની ઘટનાએ કાયદો અને વ્યવસ્થા સામે સવાલ ઉભા કર્યા છે.

આ પણ વાંચોઃ Suratમાં કાતિલ દોરીએ માસૂમનો જીવ લીધો, સાયકલ ચલાવતા 8 વર્ષના બાળકનું મોત


  • Follow us on: