સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના બામણવા ગામેથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. પ્રેમમાં નિષ્ફળતા અને સામાજિક મર્યાદાઓના કારણે એક પ્રેમી યુગલે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. કુટુંબી સગા હોવાના કારણે લગ્ન ગ્રંથિથી જોડાઈ ન શકવાના દુઃખમાં આ પ્રેમી-પંખીડાએ મોતને વહાલું કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.


શું છે સમગ્ર ઘટના?

બામણવા ગામમાં રહેતા 21 વર્ષીય કુણાલ ઠાકોર અને 19 વર્ષીય જાનકી ઠાકોર છેલ્લા ઘણા સમયથી એકબીજાના પ્રેમમાં હતા. બંને લગ્ન કરીને સાથે જીવન વિતાવવા માંગતા હતા, પરંતુ તેઓ કુટુંબી સગા થતા હોવાથી સામાજિક અને પારિવારિક અવરોધો ઉભા થયા હતા. લોકમુખે ચર્ચાતી વિગતો મુજબ, બંને એક થઈ શકે તેમ ન હોવાથી તેમણે આ અંતિમ પગલું ભર્યું હોવાનું મનાય છે.

શોકનું મોજું અને પોલીસ તપાસ

બંનેએ એકસાથે ગળેફાંસો ખાઈ લેતા નાના એવા બામણવા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. બનાવની જાણ થતા જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે બંને મૃતદેહોને નીચે ઉતારી, પંચનામું કરી પોસ્ટમોર્ટમ (PM) માટે હોસ્પિટલ ખસેડ્યા છે. કુણાલ અને જાનકીના આ કરૂણ અંતથી ઠાકોર સમાજ સહિત સમગ્ર ગામમાં અરેરાટી વ્યાપી ગઈ છે. પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


આ પણ વાંચો - Surendranagar News : સુરેન્દ્રનગર જિલ્લામાં ગ્રામ્ય તેમજ તમામ તાલુકાઓનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ 25 ફેબ્રુઆરીના રોજ યોજાશે



  • Follow us on: