સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ પંથકમાં આજે વહેલી સવારથી જ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ કડક બનાવવા માટે પોલીસ અને PGVCL દ્વારા સંયુક્ત રીતે મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. થાનગઢના જામવાડી વિસ્તારમાં નામચીન ભૂ-માફિયાઓના રહેઠાણો પર પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને વીજ તંત્રના કાફલાએ ત્રાટકીને સઘન ચેકિંગ શરૂ કર્યું છે.


ભૂ-માફિયાઓના ઘરે તપાસનો ધમધમાટ

આ કાર્યવાહીમાં ખાસ કરીને જામવાડી વિસ્તારના નામચીન ભૂ-માફિયા વિઠ્ઠલ જાગા અલગોતરના ઘર સહિત અન્ય શંકાસ્પદ સ્થળો પર તપાસ હાથ ધરવામાં આવી છે. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ પોતે આ ઓપરેશનનું મોનિટરિંગ કરી રહ્યા છે. તેમની સાથે ડીવાયએસપી, એલસીબી (LCB), એસઓજી (SOG) અને PGVCLના 50 થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓનો મોટો કાફલો જોડાયો છે.

વીજ ચોરી ઝડપાવાની શક્યતા

પોલીસની હાજરીમાં PGVCL ની ટીમો દ્વારા આ વિસ્તારોમાં વીજ જોડાણોની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. પ્રાથમિક અંદાજ મુજબ, ભૂ-માફિયાઓ દ્વારા મોટા પાયે ગેરકાયદેસર વીજ જોડાણો મેળવી વીજ ચોરી કરવામાં આવતી હોવાની આશંકા છે. પોલીસ અને વીજ તંત્રના આ અચાનક રેડથી સ્થાનિક અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. ભૂ-માફિયાઓ સામેની આ કાર્યવાહી આગામી સમયમાં વધુ તેજ બનવાના સંકેતો મળી રહ્યા છે. પોલીસ આ તપાસ દરમિયાન કોઈ વાંધાજનક વસ્તુઓ કે દસ્તાવેજો મળી આવે છે કે કેમ તે દિશામાં પણ તપાસ કરી રહી છે.


આ પણ વાંચો - Surendranagar News: યુવકે દુકાનમાં જ જીવન ટૂંકાવ્યું, સ્યુસાઈડ નોટમાં બે નામોનો ઉલ્લેખ


  • Follow us on: