વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં ડ્રેનેજના ખુલ્લા મેનહોલમાં પડી જવાથી યુવકના મોતના મામલે વડોદરા પોલીસે આખરે કડક કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનામાં બેદરકારી બદલ પોલીસે ઈજારો (કોન્ટ્રાક્ટ) ધરાવતી એજન્સીના મહિલા સંચાલિકાની ધરપકડ કરી છે.
શું હતી સમગ્ર ઘટના?
ઘટનાની મળતી માહિતી અનુસાર, વડોદરા શહેરમાં માંજલપુર પાણીની ટાંકી પાસે આવેલી ડ્રેનેજની લાઈનના મેનહોલ ખુલ્લા હોવાથી વિપુલસિંહ ઝાલા નામના યુવકનો ભોગ લેવાયો હતો. વિપુલસિંહ મેનહોલમાં પડી જતાં તેમનું કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટના બાદ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને જવાબદારો સામે પગલાં લેવાની માગ ઉઠી હતી.













