લખનૌમાં બનેલી આ ઘટના એટલી ચોંકાવનારી છે કે આજે પણ લોકો તેનું નામ સાંભળે તો પણ ડરી જતા હોય છે. પ્રેમ, વિશ્વાસ અને સાથે જીવવાની શરૂઆત થયેલો સંબંધ લોહી અને દગાથી ભરાઈ ગયો હતો. રવિવારે મોડી રાત્રે લખનૌના બીબીડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી સલારગંજ ગ્રીન સિટી કોલોનીમાં એક એવી હત્યા થઈ કે આખું શહેર હકબંધ થઈ ગયું. એક મહિલાએ પોતાના લિવ-ઇન પાર્ટનર સૂર્ય પ્રતાપ સિંહની છરી મારીને હત્યા કરી નાખી. સૂર્ય દેવરિયાનો રહેવાસી હતો અને લખનૌની કંપનીમાં એક્ઝિક્યુટિવ એન્જિનિયર તરીકે કામ કરતો હતો. ઘટનાસ્થળે પોલીસ પહોંચી, લાશનો કબજો લીધો અને ફોરેન્સિક ટીમે તપાસ શરૂ કરી દીધી.


12 વર્ષ પહેલા શરૂ થયો હતો સંબંધ

પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે લગભગ 12 વર્ષ પહેલાં સૂર્યાએ રત્ના દેવીની બે પુત્રીઓને ટ્યુશન આપવાનું શરૂ કર્યું હતું. તે દિવસોમાં રત્નાના પતિ દારૂના નશાના કારણે મોતને ભેટ્યા, ત્યાર પછી રત્ના અને સૂર્યા નજીક આવ્યા અને થોડા સમય પછી લિવ-ઇનમાં રહેવાનું નક્કી કર્યું. છેલ્લાં 5 વર્ષથી, રત્ના, સૂર્યા અને તેની બે પુત્રીઓ એક જ ઘરમાં રહેતા હતા. પરંતુ છેલ્લા કેટલાક મહિનાથી ઘરમાં સતત ઝઘડા, જમીન-મિલકતના મુદ્દા અને દીકરીઓને લઈને તણાવ વધી રહ્યો હતો.

દીકરી પર હતી ખરાબ નજર

પોલીસ પૂછપરછ દરમિયાન રત્નાએ સૌથી મોટો દાવો કર્યો કે સૂર્યાની તેની મોટી દીકરી પર ખરાબ નજર હતી અને તે તેને અયોગ્ય રીતે સ્પર્શ કરતો હતો. રવિવારે રાત્રે સૂર્યાએ મોટી દીકરીના ફોનમાં એક યુવકનો ફોટો જોઈ ગુસ્સે ભરાયો અને તેને રૂમમાં બંધ કરી દીધી. દીકરીની ચીસો સાંભળીને રત્ના અને નાની દીકરી દોડી આવી. આરોપ છે કે સૂર્યાએ બંનેને પણ માર માર્યો. દીકરીને બચાવવા માટે થયેલી ઝપાઝપીમાં રત્નાએ ગુસ્સામાં છરી ઉપાડી, દીકરીઓએ સૂર્યાને પકડી રાખ્યો અને રત્નાએ તેના ગળામાં છરી ઘોંસી દીધી. ઘટનાસ્થળે જ તેનું મોત થઈ ગયું હતું. પોલીસ આ દાવાઓની સત્યતા તપાસી રહી છે.

પૂર્વયોજિત હત્યા હોઈ શકે

પ્રાથમિક તપાસમાં એવું જણાઈ રહ્યું છે કે આ માત્ર એક ક્ષણિક ગુસ્સાની અસર નથી, પરંતુ પૂર્વયોજિત હત્યા હોઈ શકે છે. સૂર્યાએ ઘરમાં ત્રણ CCTV કેમેરા લગાવ્યા હતા અને મોબાઈલમાં દીકરીઓની દરેક હલચલ પર નજર રાખતો હતો. તે મોટી દીકરીને અભ્યાસ છોડાવી ઘરે રાખવા દબાણ કરતો હતો, જેના કારણે રત્ના અને દીકરીઓ બંને બહુ નારાજ હતા. ઘરમાં વધતો તણાવ દરરોજ નવો કલેશ ઊભો કરતો હતો. રત્નાએ એ પણ કહ્યું કે ગ્રીન સિટીનું ઘર સૂર્યાએ ખરીદ્યું હોવા છતાં તેનું નિર્માણ તેના પતિના મૃત્યુ પછી મળેલા પૈસાથી થયું હતું, તેથી ઘર પર તેનો અધિકાર હતો. પતિના મૃત્યુ પછી મળેલી રકમથી જ કાર પણ ખરીદી હતી, જેને લઈને બંને વચ્ચે વારંવાર ભારે ઝઘડા થતા હતા.

પિતા પર પણ ગંભીર આરોપ

મૃતકના પિતા નરેન્દ્ર સિંહે ગંભીર આરોપ લગાવ્યા છે કે રત્ના કામ કરતી નહોતી, પરંતુ તે અને તેની પુત્રીઓ સૂર્યાના કમાયેલા પૈસાથી વૈભવી જીવન જીવી રહી હતી. પરિવારે સૂર્યાને ઘણી વાર રત્નાથી દૂર રહેવાની સલાહ આપી હતી, પરંતુ તે ક્યારેય સાંભળતો નહોતો. નરેન્દ્ર સિંહ પોતાના પુત્રના લગ્ન માટે યોગ્ય છોકરી શોધી રહ્યા હતા અને હત્યાના દિવસે પણ સૂર્યાએ તેમને ફોન કરી પૈસા મોકલ્યા હતા.

પોલીસ કરી રહી છે તપાસ 

હાલમાં, પોલીસએ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને રત્ના તથા તેની બે દીકરીઓને જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. પોલીસ રત્નાના તમામ દાવાઓની ક્રોસ-વેરિફિકેશન કરી રહી છે. CCTV ફૂટેજ, ફોરેન્સિક રિપોર્ટ અને પડોશીઓના નિવેદનોના આધાર પર હવે સાચું શું છે—રક્ષણ કે પૂર્વયોજિત કાવત્રું—તેની સત્યતા બહાર આવશે.

આ પણ વાંચો : Khajuraho Food Poisoning Case: ખજુરાહો રિસોર્ટમાં ભોજન લીધા બાદ 3 લોકોના મોત, 6ની હાલત ગંભીર

  • Follow us on: