90ના દાયકામાં બોલીવુડમાં ફેમસ, સ્ટાર્સ, નિર્મતા અને સંગીતકારને ધમકીઓ મળતી હતી. ફેમસ ફિલ્મ નિર્માતા રામ ગોપાલ વર્માએ બોલીવુડ અને અંડરવર્લ્ડના કનેક્શનને લઈને ચોંકાવનારો ખુલાસો કર્યો. રામ ગોપાલ વર્માએ બોલીવુડ અને અંડરવર્લ્ડના કનેકશન પરથી પડદો ઉઠાવ્યો છે. એક ઇન્ટરવ્યુમાં RGVએ અંડરવર્લ્ડના રાઝ ખોલ્યા. તેમણે કહ્યું કે 90નો સમયગાળો ઇન્ડસ્ટ્રી માટે વધુ ખરાબ હતો. અંડરવર્લ્ડ દ્વારા ઇન્ડસ્ટ્રીના લોકોને ખૂબ હેરાન કરવામાં આવતા હતા. જો તેમની કોઈ વાત ના માને તો હુમલો અને હત્યા જેવા કૃત્યો કરતા અચકાતા નહીં.
રાકેશ રોશન પર હુમલો અને ગુલશન કુમાર કેમ થઈ હત્યા
વર્ષ 2000માં ફિલ્મ 'કહો ના... પ્યાર હૈ' ની સફળતા બાદ રાકેશ રોશન પર થયેલા જીવલેણ હુમલા પાછળનું કારણ પણ RGVએ સ્પષ્ટ કર્યું હતું. તેમણે દાવો કર્યો કે છોટા શકીલ સમર્થિત ગેંગસ્ટરો ઋતિક રોશનની ફિલ્મ તારીખો પર નિયંત્રણ મેળવવા માંગતા હતા. રાકેશ રોશને આ દબાણ સામે ઝૂકવાનો ઇનકાર કરતા તેમની ઓફિસ બહાર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં તેઓ માંડ બચ્યા હતા. 1997માં થયેલી ગુલશન કુમારની હત્યા વિશે વાત કરતા વર્માએ કહ્યું કે, આ હત્યા પાછળ સત્તા સંઘર્ષ અને વૈયક્તિક દુશ્મનાવટ મુખ્ય હતા. ગુલશન કુમારની વધતી સફળતા અને અબુ સલેમ જેવા ગુંડાઓની ખંડણીની માંગણીઓ સામે ન ઝૂકવાની તેમની નીતિને કારણે તેમને નિશાન બનાવવામાં આવ્યા હોઈ શકે તેવું તેમનું માનવું છે.













