- હિટસ્ટ્રોકને કારણે SMC સંચાલીત સ્મીમેરમાં 4 દર્દીઓ સારવાર હેઠળ
- નવી સિવિલ ખાતે 8 દર્દીઓને સારવાર હેઠળ ખસેડાયા
- સિવિલ હોસ્પિટલમાં એક દર્દી નું શંકાસ્પદ મોત
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે,તેની વચ્ચે સુરતમાં લુ લાગવાના કેસોમાં વધારો જોવા મળ્યો છે,ગઈકાલે સુરતમાં હીટસ્ટ્રોક અને લુ લાગવાના કેસમાં કુલ 10 લોકોના મોત નિપજયા છે,આજે પણ લુ લાગવાના કેસમાં વધારો થતો જોવા મળ્યો છે.બે દર્દી હાલ વેન્ટિલેટર પર સારવાર હેઠળ છે તો અન્ય દર્દીઓ સિવિલ, મસ્કતિ, આરોગ્ય કેન્દ્રો અને સ્મીમેર હોસ્પિટલમાં દાખલ છે.
ઈમરજન્સી કોલમાં વધારો થયો
સુરતની સિવિલ અને સ્મીમેરમાં હીટસ્ટ્રોકના દર્દીઓ માટે અલાયદી વ્યવસ્થા કરી મેડિકલ-પેરામેડીકલ સ્ટાફને સારવાર, આગોતરી તૈયારીઓ અંગે માહિતગાર કરાયા હતા. સિવિલમાં 10 બેડનો એક અલાયદો વોર્ડ બનાવાયો છે. જ્યારે સ્મીમેરમાં 4 બેડની વ્યવસ્થા કરાઈ છે.બુધવારે હિટવેવની અસરના કારણે હિટસ્ટ્રોકના સિવિલ હોસ્પિટલમાં 4 અને સ્મીમેર હોસ્પિટલમાં 4 દર્દીઓને સારવાર માટે આવ્યા હતા. છેલ્લા 20 દિવસમાં 108ને હિટ રીલેટેડ ઈમરજન્સીના કુલ 108 કોલ મળ્યા હતા. જેમાં છેલ્લા ત્રણ દિવસમાં જ 31 કોલ મળ્યા હતા.

એક સપ્તાહ બાદ ગરમીમાં એકાદ ડિગ્રી જેટલો ઘટાડો થઈ શકે છે
બપોરના સમય ગાળા દરમિયાન ખાસ કરીને 12 વાગ્યાથી 6 વાગ્યા દરમિયાન બહાર ન નીકળવું હિતાવહ રહેશે. કારણ કે, આ ગરમીમાં કોઈપણ વ્યક્તિ બિમાર પડી શકે છે. આથી હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં પાટણ, મહેસાણા અને સાબરકાંઠામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પરંતુ ગઈકાલની જેમ આજે પણ અનેક જિલ્લાઓમાં હીટવેવની શક્યતા છે. આગામી એક સપ્તાહ દરમિયાન ગરમીથી રાહત મળવાના કોઈપણ અણસાર હવામાન વિભાગે વ્યક્ત કર્યા નથી. પરંતુ એક સપ્તાહ બાદ ગરમીમાં એકાદ ડિગ્રી જેટલો ઘટાડો થઈ શકે છે.
છેલ્લા 24 કલાક મુજબ નોંધાયેલ ગરમીના આંકડા
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કયા કેટલું તાપમાન નોંધાયું તેની વાત કરવામાં આવે તો અમદાવાદમાં 45.9 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 45.8 ડિગ્રી,ગાંધીનગર 45.7 ડિગ્રી,ભુજ 44.3 ડિગ્રી, અમરેલીમાં 44.9 ડિગ્રી,વલ્લભ વિદ્યાનગર 44.1 ડિગ્રી, કંડલામાં સૌથી વધુ 46.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે.રાજયમાં ગરમીનો હાહાકાર જોવા મળ્યો છે.