- સુરતના 13 નાગરિકોને મળ્યું અયોધ્યા માટેનું આમંત્રણ
- રામ મંદિર નિર્માણ કાર્યમાં દાન આપનારાને મળ્યા આમંત્રણ
- દક્ષિણ ગુજરાતમાંથી 25 સંતોને પણ આમંત્રણ
સુરતમાં રામલલ્લાના ભવ્ય મંદિરના પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમની તૈયારીઓ ચાલી રહી છે. સમગ્ર વિશ્વમાં હિન્દુઓનું સૌથી મોટું તિર્થધામ બની રહેનારા અયોધ્યા રામ મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા સમારોહ આગામી તા.22મી જાન્યુઆરી 2024ના રોજ યોજાઇ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં યોજાનારા આ ભવ્યાતિભવ્ય સમારોહમાં ફક્તને ફક્ત આમંત્રિતો જ ઉપસ્થિત થઇ શકશે. અયોધ્યા રામલલ્લાના મંદિરના પ્રાણપ્રતિષ્ઠા સમારોહ માટે દેશના ખૂણેખૂણામાંથી ગણ્યમાન્ય વ્યક્તિઓ તેમજ રામ મંદિર નિર્માણ કાર્યમાં રૂ.25 લાખ કે તેનાથી વધુનું દાન આપનારા દાતાઓને જ આમંત્રણ કાર્ડ પાઠવવામાં આવી રહ્યા છે.

સુરત સહિત દક્ષિણ ગુજરાતમાંથી 25 અગ્રગણ્ય સાધુ સંતોને પણ અયોધ્યા ખાતેથી સત્તાવાર રીતે નિમંત્રણ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત કેન્દ્ર સરકારના મંત્રીમંડળના સભ્યો, સાંસદો, રાજ્યસભાના સાંસદો, ભાજપના વરિષ્ઠ નેતાગણ વગેરેને આમંત્રણ પાઠવવામાં આવી રહ્યા છે. સુરતમાંથી 4 જાન્યુઆરી સુધીમાં કુલ 13 લોકોને અયોધ્યા ખાતે તા.22મી જાન્યુઆરીએ યોજાનારા રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા સમારોહમાં ઉપસ્થિત રહેવા માટે સત્તાવાર રીતે નિમંત્રણ મળ્યા છે.

આ સુરતીઓને મળ્યા અયોધ્યા રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા સમારોહના સત્તાવાર આમંત્રણ
- ગોવિંદભાઇ ધોળકીયા – શ્રીરામકૃષ્ણ એક્ષ્પોર્ટ દાન રૂ.11 કરોડ
- જયંતિભાઇ કબૂતરવાલા – કલરટેક્ષ ગ્રુપ દાન રૂ.5 કરોડ
- સવજીભાઇ ધોળકીયા – શ્રીહરી કૃષ્ણએક્ષ્પોર્ટ
- લવજીભાઇ બાદશાહ – ઉદ્યોગપતિ રિયલ એસ્ટેટ
- ઘનશ્યામભાઇ શંકર – હીરા ઉદ્યોગપતિ
- પ્રભુજી ચૌધરી
- સંજયભાઇ સરાવગી - ટેક્ષ્ટાઈલ ઉદ્યોગકાર
- વિનોદભાઇ અગ્રવાલ
- દ્વારકાદાસ મારુ
- જગદીશભાઇ પ્રયાગ
- સી.પી. વાનાણી
- દિનેશભાઇ નાવડીયા - હીરા ઉદ્યોગકાર
- અરજણભાઇ ધોળકીયા

ઉત્તર પ્રદેશના પવિત્ર નગરમાં નવનિર્મિત રામ મંદિરમાં સમારોહ માટેના આમંત્રણ કાર્ડ 6,000 થી વધુ મહેમાનોને મોકલવામાં આવી રહ્યા છે. આ માટે પૂજારીઓ, દાતાઓ અને કેટલાક રાજકારણીઓનો સમાવેશ થાય છે. 22 જાન્યુઆરીએ યોજાનાર સમારોહમાં દેશભરના પૂજારીઓ અને સંતો જ નહીં, પરંતુ મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ સહિત ટોચના રાજકારણીઓ પણ ભાગ લેશે. મંદિરનો શિલાન્યાસ મોદીએ ઓગસ્ટ 2020માં કર્યો હતો.