બોટાદમાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી યુવાનની હત્યા કરવામાં આવી છે,હુમલામાં ઈજાગ્રસ્ત યુવકનું સારવાર દરમિયાન મોત થયું હોવાની વાત સામે આવી છે,ગઈકાલે સાંજે અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો જેમાં યુવકનું મોત નિપજયું છે.ઢાંકણીયા રોડ તુલસીનગર-1 પાસે હુમલો થયો હતો હાલમાં પોલીસે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી છે.
ઢાંકણીયા રોડ પર બની ઘટના
ઢાંકણીયા રોડ પર 23 વર્ષ યુવાન પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરાયો છે. બીજલભાઈ વજુભાઇ મહેરિયા (ઉર્ફે હિતેશ) પર અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો,સાંજના સમયે આ હુમલો કરવામાં આવ્યો હતો અને મોડી રાત્રે તેમનું સારવાર દરમિયાન મોત થયું છે.હીરાઘસી પરિવારનું ગુજરાન ચલાવનાર બીજલભાઈની હત્યાથી પરિવાર તેમજ મિત્રવર્તુળમાં શોકની લાગણી છવાઈ છે.હાલમાં મૃતદેહને પીએમ અર્થે મોકલી આપ્યો છે અને પીએમ થયા બાદ પરિવારને મૃતદેહ સોંપવામાં આવશે.
જાણો કોણે કરી હત્યા
શહેરનાં ઢાકણીયા રોડપર આવેલ તુલસી નગર 1માં યુવાનની હત્યાને લઈને પોલીસે તપાસ કરતાં સાયલા તાલુકાના મોટા ભડલા ગામના રોહિત ભરતભાઈ ભોજૈયા અને શ્યામ ગોરધનભાઈ ભોજૈયાએ પ્રેમ સંબંધના કારણે યુવાન હિતેશને ઉપરાછાપરી છરીના ઘા ઝીંકી હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવતા બોટાદ પોલીસે બંને શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
બોટાદમાં અસામાજીક તત્વોનો વધ્યો ત્રાસ
બોટાદ શહેરનાં શાકમાર્કેટ વિસ્તારમાં છેલ્લાં ઘણા સમયથી અસામાજિક તત્વો દ્વારા વેપારીઓને બિભત્સ શબ્દો બોલીને દાદાગીરી કરી દુકાનો આગળ વાહનો ,લારીઓ મુકીને વેપારીઓને હેરાન પરેશાન કરાતા હોવાની ઘટના સામે આવી હતી. જેને લઈને શાકમાર્કેટના વેપારીઓ તેમજ હિન્દુ સંગઠનોએ રેલી યોજી બોટાદ કલેક્ટરને આવેદનપત્ર આપી અસામાજિક તત્વોની સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરવામા આવે તેવી માગ કરવામા આવી હતી.