ગુજરાત રાજ્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સશક્ત અને સમરસ ગુજરાતના નિર્માણની દિશામાં મક્કમ આગેકૂચ કરી રહ્યું છે. વિકાસની આ આગેકૂચમાં નાગરિકોના જીવનધોરણમાં વધુ સગવડો અને સુરક્ષાનું સ્તર ઊંચુ આવે ત્યારે વિકાસની અસરકારકતાની સોડમ સમાજમાં ચારેય બાજુ ફેલાઈ જતી હોય છે. રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ કાર્યરત સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ, ગાંધીનગર દ્વારા દિવ્યાંગ નાગરિકો માટે વિવિધ પ્રકારની સહાયલક્ષી યોજનાઓ સુઅમલી છે. ત્યારે આજે વાત આજે આપણે દિવ્યાંગોને મળવાપાત્ર એસ.ટી.બસમાં મફત મુસાફરી માટેની સહાય વિશે.


દિવ્યાંગોએ લીધો ભાગ

બોટાદ જિલ્લો 2014માં અસ્તિત્વમાં આવ્યો ત્યારથી માંડીને હાલ સુધી કુલ 4,579 દિવ્યાંગ નાગરિકોને એસ.ટી. બસમાં મફત મુસાફરીનો લાભ મળ્યો છે. ચાલુ વર્ષની વાત કરીએ તો તા. 1-1-2024થી આજ દિન સુધી કુલ 455 જેટલા દિવ્યાંગજનો આ યોજના અન્વયે લાભાન્વિત કરાયા છે. અનેક શાળા-કોલેજે જતા દિવ્યાંગ વિદ્યાર્થીઓ, વડીલો અને મહિલાઓ સહિતના દિવ્યાંગ નાગરિકો સમગ્ર રાજ્યમાં એસ.ટી. બસ મારફતે મફત સવારી કરીને સરકાર પર આર્શીવાદની હેલી વરસાવી રહ્યા છે.

યોજનાનો લાભ મેળવ્યો

આ યોજના અન્વયે દિવ્યાંગ નાગરિકોને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની તમામ પ્રકારની બસોમાં ગુજરાત રાજ્યની હદમાં તેમજ રાજ્ય બહાર મુસાફરીના કિસ્સામાં બસ રૂટના રાજ્ય બહાર આવેલા અંતિમ સ્ટેશન સુધી વિનામૂલ્યે મુસાફરીનો લાભ આપવામાં આવે છે. આ યોજના હેઠળ દિવ્યાંગ વ્યક્તિને રાજ્ય સરકારના એસ.ટી.નિગમની ગુર્જર નગરી, લકઝરી અને વોલ્વો સહિત તમામ પ્રકારની બસમાં ગુજરાતની હદમાં નિ:શૂલ્ક મુસાફરીનો લાભ મળી શકે છે. વિવિધ 21 પ્રકારની દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગ નાગરિકો કે જેઓ 40 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવે છે, તેમને આ યોજનાનો લાભ મળી શકે છે.

અરજીપત્રક સાથે જોડવાના પુરાવાની યાદી

01-જે- તે વિભાગના નિષ્ણાંત તબીબ કે સિવિલ સર્જનનું દિવ્યાંગતાની ટકાવારી અને આઈ.કયુ. દર્શાવતા તબીબી પ્રમાણપત્રની પ્રમાણિત નકલ.

02-2 નંગ પોસ્ટકાર્ડ સાઈઝના ફોટો.

03-આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ અને રેશનકાર્ડની પ્રમાણિત નકલ.

04-ઉંમરનો આધાર કે જન્મ તારીખનો દાખલો કે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર.

05-બ્લડ ગ્રુપનો દાખલો સામેલ રાખવો.

ઓનલાઈન કરો અરજી

આ યોજના હેઠળ www.esamajkalyan.gujarat.gov.in પોર્ટલ પર ઓનલાઇન અરજી સ્વીકારવામાં આવે છે. ઓનલાઇન અરજીઓની ચકાસણી કરી મંજૂર કરવાની સત્તા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની છે. આ યોજના અંગે વધુ માહિતી મેળવવા માટે તમારી નજીકના જનસેવા કેન્દ્ર, ગ્રામ પંચાયતનો સંપર્ક સાધી શકાશે. તેમજ બાળ લગ્ન પ્રતિબંધક અધિકારીશ્રી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની કચેરી, જિલ્લા સેવા સદન, બોટાદ ખાતેથી પણ આ યોજના અંગે માહિતી મેળવી શકાય છે. અત્રેની કચેરીએ સમાજ સુરક્ષા અધિકારી ડી.કે. જાડેજાની આગેવાનીમાં ઉર્જાવાન ટીમ કાર્યરત છે.

  • Follow us on: