વલસાડના દરિયાકાંઠાના કોસંબા ગામમાં દીવમાં નવાનગર ઘોઘલાનો રહીશ વિનય જયંતિભાઈ સોલંકીએ જિલ્લાના દરિયા કાંઠાના ગામોના માછીમાર યુવાનો કે જેઓએ શિપિંગ કંપનીમાં નોકરી મેળવવા માટેનો કોર્સ કર્યો હોય તેવા લોકોનો ટેલિફોનિક સંપર્ક કરી નોકરીની લાલચ આપી હતી. વિનય સોલંકીએ શિપિંગમા સારો પગાર આપવા પ્રલોભન આપી નોકરી માટે ઈચ્છુક 21 જેટલા યુવાનો પાસેથી કુલ રૂપિયા 59,53,299 પડાવી લીધા હતા અને ફરાર થઈ ગયો હતો.
આરોપીને મુંબઈના સાકીનાકા વિસ્તારમાંથી ઝડપી લેવામાં આવ્યો
માછીમાર યુવાનો સાથે ઠગાઈ કરી આરોપી લાંબા સમય સુધી છુપાતો અને ભાગતો ફરતો હતો. માછીમાર યુવાનો નોકરીની રાહ જોઈને બેઠા હતા, પરંતુ નોકરી અપાવી નહીં અને રૂપિયા પણ પરત ના આપી નાસતો ફરતો હતો. આખરે ભોગ બનનારને છેતરપિંડીનો અહેસાસ થતાં વલસાડ સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી અને વલસાડ એસપી ડો.કરણરાજ વાઘેલાએ આ ગુનાના ઉકેલ માટે માર્ગદર્શન આપી સિટી પીઆઈ ડી.ડી.પરમાર અને તેમની પોલીસ ટીમે ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સના આધારે વર્ક આઉટ કરી આરોપીને મુંબઈના સાકીનાકા વિસ્તારની રેસન્ટ ઈન ટોરમેટરીમાંથી ઝડપી પાડ્યો હતો.
આરોપી પોતાના કુટુંબીજનો સાથે વોટ્સઅપ કોલના માધ્યમથી સંપર્કમાં રહેતો
માછીમાર યુવાનો સાથે છેતરપિંડી કરી ભાગેલો આરોપી પોલીસ ધરપકડથી બચવા રહેણાંકના સ્થળે પણ મળતો ન હતો અને પોતાના કુટુંબીજનો સાથે વોટ્સઅપ કોલના માધ્યમથી સંપર્કમાં રહેતો હતો. જેથી તે ઝડપાઈ ન જાય પરંતુ કાનૂન કે હાથ લંબે હોતે હૈ એ અહીં સામે આવ્યું છે આરોપીને પોલીસે આખરે ઝડપી પાડીને તપાસ શરૂ કરી છે અને રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.