પ્રાકૃતિક કૃષિ એ આજના સમયની તાતી જરૂરિયાત છે. પ્રાકૃતિક કૃષિને વેગ આપવા માટે રાજ્યસરકારશ્રી દ્વારા અનેક પ્રયાસો હાથ ધરાયા છે જેના પરિણામે આજે રાજ્યના અનેક ખેડૂતો આ કૃષિ તરફ વળ્યા છે. તદ્દન નજીવા ખર્ચે થતી આ પ્રાકૃતિક કૃષિના અનેક ફાયદાઓ છે. ખેડૂતોને આત્મનિર્ભર બનાવવા માટે પ્રાકૃતિક કૃષિ એ વિકલ્પ તરીકે ઉભરી આવેલ છે.
ખેડૂતોને અપાઈ માહિતી
બનાસકાંઠા પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા-વ-નાયબ ખેતી નિયામક તાલીમશ્રી એચ.જે.જિંદાલના માર્ગદર્શન હેઠળ થરાદ તાલુકાના ચાંગડા ખાતે પ્રગતીશીલ ખેડુતશ્રી ચેલાભાઇ કસનાભાઇ પટેલના ફાર્મહાઉસ ખાતે પ્રેરણા પ્રવાસનું આયોજન કરાયું હતું. જેમાં આજુબાજુના ગામમાંથી તથા લાખણી તાલુકાના ખેડૂતોએ ભાગ લીધો હતો. આ પ્રેરણા પ્રવાસ અંતર્ગત ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના ફાયદાઓ, ખેતી કેવી રીતે કરવી તેની માહિતી અને માર્ગદર્શન અપાયું હતું.
પ્રાકૃતિક ખેતીની અપાઈ સમજણ
ઉપસ્થિત અધિકારીઓ અને કર્મચારીઓએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના આયામો, પશુપાલન, ખેતીવાડી વિભાગની વિવિધ યોજનાઓ, ગ્રામ જીવન પદયાત્રા, પ્રાકૃતિક ખેતીના અનુભવો, મોડેલ ફાર્મ વગેરેની માહિતી અપાઈ હતી. આ પ્રેરણા પ્રવાસમાં બી.ટી.એમ.થરાદશ્રી પી.ડી.ગલસર, ખેતીવાડી વિભાગના નિતાબેન ગૌસ્વામી, વૈજ્ઞાનિકશ્રી ડો.વિ.કે.પટેલ, ગુજરાત વિદ્યાપીઠના પ્રોફેસરશ્રી મોતીભાઇ દેસાઇ સહિતના અધિકારીશ્રી/કર્મચારી અને બહોળી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
