• અમરેલીમાં સામે આવી અનોખી ઘટના

  • 11 કેવીની વીજલાઈન પર શ્રમિક ચડ્યો
  • માંડ માંડ સમજાવટ પછી નીચે ઉતર્યો શ્રમિક

અમરેલીમાં એક અનોખી ઘટના સામે આવી છે અહીં વીજતંત્રની સમયસચૂકતાના લીધે એક શ્રમિકનો જીવ બચી જવા પામ્યો છે. હકીકતે શ્રમિક આપઘાત કરવા માટે 11 કેવીની લાઈન પર ચઢ્યો હતો, જો કે RTO અધિકારીઓએ વીજતંત્રને જાણ કરી પાવર સપ્લાય બંધ કરાવી તેનો જીવ બચાવ્યો હતો.

આ ઘટનાની વધુ માહિતી પ્રમાણે અમરેલી જિલ્લામાં બાબરા દિલાવર સ્ટીલ પ્લાન્ટ સામે એક વ્યક્તિ આત્મહત્યા કરવા માટે વીજ લાઇનના સબ સ્ટેશન પર ચડી ગયો હતો. વધુ માહિતી પ્રમાણે આત્મહત્યાનો પ્રયાસ કરનાર આ શ્રમિક પરપ્રાંતીય શ્રમિક હતો. જેણે 11 કેવીની વીજલાઈન પર ચડીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ તબક્કે સ્થાનિકોએ આ દૃશ્યો જોતાં તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે તેઓ સફળ થઈ શક્યા નહોતા. આ તબક્કે સ્થાનિકો તેને વીજપોલથી ઉતારવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ શ્રમિક માની રહ્યો નહોતો.

આ દરમિયાન અમરેલી આરટીઓ અધિકારીઓ તેમની રૂટિન કામગીરી માટે નીકળ્યા હતા. આ દરમિયાન આ અધિકારીઓએ આ દૃશ્યો નિહાળ્યા હતા. એઆરટીઓ અધિકારી પીઆર પઢિયાર અને જય પટેલે આ ઘટનાને નિહાળી હતી. ત્યારે તેમણે સમયસચૂકતા વાપરીને 100 નંબર ડાયલ કરીને પીજીવીસીએલને ફોન કરીને આ લાઈનમાં પાવર સપ્લાય બંધ કરાવી દીધો હતો. જેના પગલે આ શ્રમિકનો જીવ જતાં જતાં બચ્યો હતો અને શ્રમિકને સફળતાપૂર્વક નીચે ઉતારાઈ શકાયો હતો.

વીજતંત્રના અધિકારીઓના ધ્યાને આ વાત આવતા તેમણે તાત્કાલિક વીજલાઈનનો સપ્લાય બંધ કરાવી દીધો હતો. આ ઘટનાના પગલે સ્થાનિકો અને આરટીઓ અધિકારીઓ પણ શ્રમિકને બચાવવાની અને તેને સમજાવવાની કવાયતમાં જોડાયા હતા. અંતે 10થી 15 મિનીટની સમજાવટ પછી આ પરપ્રાંતિય શ્રમિક વીજપોલ પરથી નીચે ઉતર્યો હતો. આમ અધિકારીઓની સમયસચૂકતાથી એક વ્યક્તિનો જીવ બચી ગયો હતો.

  • Follow us on: