• તંત્રની લાલિયાવાડી સામે આવી

  • પરીક્ષા પહેલા 5000 વિદ્યાર્થીઓના સીટ નંબર જનરેટ ન થયા
  • 5000 વિદ્યાર્થીઓ પરીક્ષા વિહોણા રહ્યા

વડોદરાની વિશ્વ વિખ્યાત એમ.એસ.યુનિવર્સિટીની સિસ્ટમમાં એક મોટી ગરબડ થઈ હોવાના સમાચાર સામે આવ્યા છે. અહીં મોટા ભાગની ફેકલ્ટીઓમાં સત્રાંત પરીક્ષાઓ યોજાઈ હતી. જો કે નવી એજ્યુકેશન પોલિસી પ્રમાણે પરીક્ષા પહેલા વિદ્યાર્થીઓના સીટ નંબર જનરેટ જ ન થતા 5000 થી વધુ વિદ્યાર્થીઓ એક્ઝામ આપી શક્યા નહોતા.

એમ.એસ. યુનિવર્સિટીમાં નવી એજ્યુકેશન પોલિસીનો અમલ કરી દેવાયો છે, પરંતુ સીટ નંબર જનરેટ કરવામાં ન આવતાં વિદ્યાર્થીઓ પરેશાન થઇ ગયા છે. એક પણ ફેકલ્ટીમાં સીટ નંબર જનરેટ ન થતાં પ્રથમ વર્ષના 5 હજાર કરતાં વધારે વિદ્યાર્થીઓની ઇન્ટર્નલ લેવાઇ નથી. એક સત્ર પૂરું થઇ ગયું હોવા છતાં પરીક્ષાનાં કોઇ ઠેકાણાં નથી.યુનિવર્સિટી માં નવી એજ્યુકેશન પોલિસી પ્રમાણે કોમર્સ ફેકલ્ટી સિવાય તમામ ફેકલ્ટીઓ માં કોર્સ નક્કી કરી દેવાયો છે. જોકે હેડ ઓફિસ દ્વારા એક પણ ફેકલ્ટી માં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓના સીટ નંબર જનરેટ કરાયા નથી. જેને લઈને વિદ્યાર્થીઓ પરીક્ષાવિહોણા રહ્યા હતા.

આ મામલે યુનિવર્સિટીના સત્તાધીશો પણ મૂંઝવણમાં છે. ખાસ કરીને ફેકલ્ટી સત્તાધીશો પણ આ મામલે કોઈ જવાબ આપી રહ્યા નથી. જોકે જે ફેકલ્ટીઓ નાની છે અને જ્યાં વિદ્યાર્થીઓ સમયસર આવે છે તેવી ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓની પરીક્ષા સીટ નમ્બરને આધારે લેવાઈ છે અને અન્ય વિદ્યાર્થીઓ નું વર્ષ ન બગડે તેવી વ્યવસ્થા કરાશે તેવું યુનિવર્સિટી તંત્ર કહી રહ્યું છે. આમ હાલ તો આ મામલે કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી, પરંતુ જ્યાં સુધી યુનિવર્સિટી તંત્ર દ્વારા કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ન કરવામાં આવે ત્યાં સુધી વિદ્યાર્થીઓની પરીક્ષા ક્યારે લેવાશે તે ચોક્કસપણ કહેવું મુશ્કેલ છે.

મહત્વની વાત એ છે કે હાલ માં જ એમ.એસ.યુનિવર્સિટીનો રાજ્યમાં કોમન યુનિવર્સીટી એકટ હેઠળ સમાવેશ કરાયો છે અને નવી એજ્યુકેશન પોલિસી પણ અમલમાં આવી છે પરંતુ એ પ્લસ રેન્કિંગ ધરાવતી યુનિવર્સિટીમાં આવી ઘટના સામે આવતા તંત્ર માટે પણ નાલેશીની સ્થિતિ સર્જાઈ છે. હાલમાં તો આ યુનિવર્સિટીના 5000 વિદ્યાર્થીઓના ભાવિને લઈને સ્થિતિ અસમંજસ ભરી બની જવા પામી છે.


  • Follow us on: