• OPD બહાર એક્સ્ટ્રા કેસ બારીઓ દર્દીઓથી ઉભરાઇ
  • RMCના આરોગ્ય કેન્દ્રમાં વાયરલ ઈન્ફેક્શનના 1 હજાર કેસ
  • સપ્તાહમાં વાયરલ ઈન્ફેક્શનના 1 હજાર, ડેન્ગ્યુના 12 કેસ

રાજ્યમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. ત્યારે બીજી તરફ રાજકોટ શહેરમાં મચ્છરજન્ય રોગોએ માથું ઊંચક્યું છે. જેમાં રોગચાળાની અંદર ડેન્ગ્યુ, ચિકનગુનિયાના કેસ વધ્યાની ફરિયાદને પગલે ફોગિંગ કરવાની કામગીરી ઝડપી બનાવાઇ છે. રાજકોટ શહેરમાં ગત સપ્તાહે મિશ્ર ઋતુ અનુભવાઈ હતી. સવારે તાપમાનમાં ઘટાડો જ્યારે દિવસ દરમિયાન ગરમી રહેતી હતી. આ મિશ્ર ઋતુને કારણે અનેકને શરદી-ઉધરસની તકલીફ થઈ હતી. 

રાજકોટમાં મચ્છરજન્ય રોગની શંકા તેમજ બચવા માટે 2911 ઘરમાં ફોગિંગ કરાયા છે તે આડકતરી રીતે શહેરમાં ફેલાયેલા રોગચાળાની વિગતો દર્શાવી રહ્યું છે. તેમજ OPD બહાર એક્સ્ટ્રા કેસ બારીઓ દર્દીઓથી ઉભરાઇ રહી છે. જેની સાથે RMCના આરોગ્ય કેન્દ્રમાં વાયરલ ઈન્ફેક્શનના 1 હજાર કેસ નોંધાયા છે. આ ઉપરાંત સપ્તાહમાં વાયરલ ઈન્ફેક્શનના 1 હજાર, ડેન્ગ્યુના 12 કેસ નોંધાયા છે. મનપાના આરોગ્ય કેન્દ્રોમાં જ 875 દર્દી નોંધાયા હતા. આ ઉપરાંત સામાન્ય તાવના 51 જ્યારે ઝાડા-ઊલટીના 173 કેસ આવ્યા હતા.


આરોગ્ય વિભાગના તત્કાલીન અધિકારીઓને પાંચ વર્ષ પહેલા ડેન્ગ્યુના વકરતા રોગને કારણે ઘણા ઠપકા ખમવા પડ્યા હતા. તેમજ રેપિડ કાર્ડ ટેસ્ટ 50થી 100 રૂપિયામાં થાય જ્યારે એલાઈઝા ટેસ્ટ માટે 1500થી 2000 રૂપિયાનો ખર્ચ થાય. આ ઉપરાંત ડેન્ગ્યુની કોઇ દવા જ નથી જેથી દર્દીને જે તે સમયે જે સમસ્યા જેવી કે તાવ, શરદી, શરીરમાં દુખાવો, પ્લેટલેટની અછત વગેરે હોય તેને ધ્યાને લઇને સારવાર કરવામાં આવે છે.

મચ્છરજન્ય રોગની સિઝનમાં હંમેશા ડેન્ગ્યુનું પ્રમાણ વધારે હોય છે તેવું આ વખતે છે પણ ચિકનગુનિયામાં અસામાન્ય વધારો નોંધાયો છે. ગત વર્ષે નવેમ્બર સુધીમાં 250 ડેન્ગ્યુના કેસ હતા જે આ વર્ષે 183 છે જ્યારે ગત વર્ષે ચિકનગુનિયાના 30 કેસ હતા તે વધીને 69 એટલે કે બમણાથી પણ વધી ગયા છે. તંત્રએ દાવો કર્યો છે કે રોગચાળો કાબૂમાં છે પણ જે રીતે ફોગિંગ તેમજ સર્વેલન્સ કરવા માટે તંત્ર દોડી રહ્યું છે તે અલગ જ સ્થિતિ તરફ ઈશારો કરે છે.

  • Follow us on: