- અમદાવાદમાં વિઝાની લાલચે 1.60 કરોડની ઠગાઈ
- એક જ ટોળકીના સભ્યો સામે બે અલગ-અલગ ફરિયાદ
- 4 લોકો સાથે છેતરપિંડી કરી આરોપીઓ ફરાર
હાલમાં યુવાનોને વિદેશ જવાની ઘેલ્છા મોટા પ્રમાણમાં જોવા મળી છે, વિદેશમાં જઈને લોકોને ત્યાં ડોલરમાં કમાણી કરવી છે અને ત્યાંની વૈભવી જીવનશૈલીથી લોકો આર્કષિત થાય છે. ત્યારે ઘણા લોકો યેનકેન પ્રકારે વિઝા મેળવીને વિદેશ જવાની ઈચ્છા ધરાવે છે અને તેના કારણે ઘણી વખત છેતરપિંડીનો ભોગ બને છે.
વિઝા અપાવવાની લાલચે છેતરપિંડી
અમદાવાદ શહેરમાં જ આ પ્રકારનો કિસ્સો ફરી સામે આવ્યો છે. અમદાવાદમાં ફરી એક વખત વિઝા અપાવવાની લાલચે છેતરપિંડી થઈ છે. એજન્ટે કેનેડાના પીઆર વિઝા અપાવવાની લાલચે છેતરપિંડી આચરી છે. ત્યારે આ સમગ્ર મામલે હવે છેતરપિંડી આચરનારી ટોળકી વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
વિઝાની લાલચ આપી 1.60 કરોડની છેતરપિંડી
વિઝા અપાવવાના બહાને છેતરપિંડી આચરતી એક જ ટોળકીના સભ્યો વિરૂદ્ધ બે અલગ અલગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ટોળકીએ 4 લોકોને કેનેડાને પરમેનન્ટ રેસિડેન્સી (PR) વિઝા અપાવવાની લાલચ સાથે છેતરપિંડી કરી છે અને વિઝા અપાવવાના બહાને 4 લોકો પાસેથી કુલ રૂપિયા 1.60 કરોડ ખંખેરી લીધા છે અને રૂપિયા લીધા બાદ ટોળકી ફરાર થઈ ગઈ છે.
એક જ ટોળકીના સભ્યો વિરુદ્ધ બે અલગ અલગ ફરિયાદ
હાલમાં જે લોકો પાસે છેતરપિંડી થઈ છે તે લોકોએ સીઆઈડી ક્રાઈમમાં રૂષિકેસ પુરોહિત, બિશ્વદીપ દેવ અને સુજાતા વાધવા વિરૂદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે, આ સાથે જ અમદાવાદના બોડકદેવ પોલીસ સ્ટેશનમાં પણ રૂષિકેસ પુરોહિત, બિશ્વદીપ દેવ અને સુજાતા વાધવા અને પ્રશાંત નામના શખ્સ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ત્યારે હાલમાં પોલીસે આ ટોળકી સામે વધુ તપાસ હાથ ધરી છે અને તેમને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.