અમદાવાદના બહુચર્ચિત ખ્યાતિ હોસ્પિટલકાંડ મામલે સંચાલક કાર્તિક પટેલની આગોતરા જામીન અરજી પર આજે સુનાવણી હાથ ધરાઈ છે. અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં સુનાવણી દરમિયાન સરકારી વકીલે જામીન અરજી પર અનેક સવાલ ઉઠાવ્યા છે. જ્યારે બીજી તરફ કાર્તિક પટેલના વકીલે પીડિતોને વળતર આપવાની તૈયારી દર્શાવી છે. ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન કાર્તિક પટેલની આગોતરા જામીન અરજી પર કોર્ટમાં ચૂકાદો અનામત રાખ્યો હતો.
કાર્તિક પટેલના વકીલે પીડિતોને વળતર આપવાની તૈયારી દર્શાવી
અમદાવાદનાં ખ્યાતિ હોસ્પિટલકાંડ મામલે આજે અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં હોસ્પિટલનાં સંચાલક કાર્તિક પટેલની આગોતરા જામીન અરજી પર સુનાવણી હાથ ધરાઈ છે. સુનાવણી દરમિયાન કાર્તિક પટેલના વકીલ અને સરકારી વકીલે વચ્ચે જબરદસ્ત દલીલ થઈ. કાર્તિક પટેલનાં વકીલે દલીલ કરી કે, હોસ્પિટલમાં સર્જરી કરવામાં આવી હતી, જેમાં લોકોનાં જીવ ગયા. જે થયું તે દુઃખદ છે. પણ શું આ પ્રકારની ઘટના માટે ડાયરેકટર જવાબદાર હોઈ શકે ? મેડિકલ બેદરકારીનાં કિસ્સામાં ડાયરેક્ટરની જવાબદારી સામે વકીલે સવાલ ઉઠાવ્યા. કાર્તિક પટેલના વકીલે SC અને ગુજરાત હાઇકોર્ટનાં જુદા-જુદા ચુકાદાનાં આધારે દલીલો કરી છે. ઉપરાંત, કાર્તિક પટેલના વકીલ દ્વારા પીડિતોને વળતર આપવાની પ્રાથમિક તૈયારી પણ દર્શાવવામાં આવી છે.
કાર્તિક પટેલ ક્યાં છે તે અંગે અરજીમાં ઉલ્લેખ કરાયો નથી : સરકારી વકીલ
બીજી તરફ કાર્તિક પટેલની આગોતરા જામીન અરજી સામે સરકારી વકીલે કોર્ટમાં સવાલો ઉઠાવ્યા છે. સરકારી વકીલે દલીલ કરતા કહ્યું કે, અરજી કાર્તિક પટેલે નહીં પણ અન્ય વ્યક્તિએ કરી છે. હાલ, કાર્તિક પટેલ ક્યાં છે તે અંગે અરજીમાં કોઈ ઉલ્લેખ કરાયો નથી. અરજી કેમ કરી તે અંગે પણ ઉલ્લેખ ન હોવાથી ટકવા પાત્ર નથી. જણાવી દઈએ કે, અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં મહેસાણા જિલ્લાનાં બોરીસણા ગામનાં બે દર્દીઓનાં મોત નીપજ્યા હતા. હોસ્પિટલ સામે આરોપ છે કે સરકારી યોજનાનો આર્થિક લાભ લેવાની લાલસામાં દર્દીઓને જરૂરિયાત ન હોવા છતાં એન્જિયોગ્રાફી કરી સ્ટેન્ડ મૂકવામાં આવ્યા હતા, જેમાં ઓપરેશન બાદ બે દર્દીઓનાં મોત નીપજ્યા હતા.