અમદાવાદના એસ.જી.રોડ પર આવેલી ખ્યાતિ હોસ્પિટલમાં બેદરકારીના કારણે બે લોકોના મોતની ઘટના બની હતી. જેને લઈને આરોગ્ય વિભાગના ACS ધનંજય દ્વિવેદીએ નિવેદન મોટું નિવેદન આપ્યું છે અને કહ્યું કે ખ્યાતિ હોસ્પિટલ સામે મોટી કાર્યવાહી કરવામાં આવશે, મોતનું તાંડવ રચનાર હોસ્પિટલને સીલ કરાશે.
હોસ્પિટલ અને ડોક્ટરો સામે પણ ગુનો દાખલ કરાશે
આ સાથે જ આરોગ્ય વિભાગના ACS ધનંજય દ્વિવેદીએ વધુમાં જણાવ્યું કે ખ્યાતિ હોસ્પિટલ PMJAYમાંથી રદ્દ કરવામાં આવી છે, બેદરકારીના કારણએ હોસ્પિટલ અને ડોક્ટરો સામે પણ ગુનો દાખલ કરવામાં આવશે. જરૂરિયાત વિના સારવાર કરવા બદલ ગુનો નોંધાશે, ત્યારે ખ્યાતિ હોસ્પિટલની માલિકીની અન્ય હોસ્પિટલ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.
યોગ્ય સારવાર ન મળવાના કારણે બે લોકોના મોત થયા
ધનંજય દ્વિવેદીએ જાણકારી આપતા કહ્યું કે ખ્યાતિ હોસ્પિટલને છેલ્લા 6 મહિનામાં 3.66 કરોડ રૂપિયાની ચુકવણી કરવામાં આવી છે. ખ્યાતિ હોસ્પિટલમાં ખોટી રીતે સારવાર અપાઈ અને તેમાં 2 લોકોના મૃત્યુ થયા છે, જે ગંભીર બાબત છે. યોગ્ય સારવાર ન મળવાના કારણે બે લોકોના મોત થયા છે. ખોટી રીતે કેમ્પ યોજી પરવાનગી વિના ઓપરેશન કરવામાં આવ્યા હતા, 7 લોકોની એન્જિયોપ્લાસ્ટિની જરૂર ન હતી અને કરવામાં આવી છે.
ખ્યાતિ હોસ્પિટલ સામે મેડિકલ કાઉન્સિલ પણ પગલાં લેશે
ત્યારે સર્જરી કરનારા તબીબનું લાયસન્સ રદ્દ કરવામાં આવશે અને સારવારમાં બેદરકારી રાખવા બદલ પગલાં પણ લેવાશે. ભારતીય દંડ સંહિતાની કલમ 105, 336, 361 મુજબ પોલીસ ફરિયાદ નોંધશે. આ સાથે જ ખ્યાતિ હોસ્પિટલ સામે મેડિકલ કાઉન્સિલ પણ પગલાં લેશે. તબીબોએ સર્જરીની પુરતી પ્રોસીઝર પણ કરી ન હતી. આ મામલે રાજ્ય સરકારે તપાસ સમિતિની રચના કરી છે અને તપાસ રિપોર્ટ વિભાગને સોંપાયો છે.
સરકારના ડોકટરોની તપાસ ટીમમાં સામે આવ્યા ચોંકાવનારા તારણો
બીજી તરફ ખ્યાતિ હોસ્પિટલમાં ચાલતી લોલમલોલે તમામ લોકોને ચોંકાવ્યા છે. સરકારી ડોક્ટરોની તપાસ ટીમના ચોંકાવનારા તારણો સામે આવ્યા છે. જેમાં દર્દીઓને કોઈપણ જાતનું બ્લોકેજ ન હોવા છતાં 7 લોકોમાં બ્લોકેજ દર્શાવ્યા. ખ્યાતિ હોસ્પિટલના ડોક્ટરોએ જ ખોટા પેપર તૈયાર કર્યા અને ડોક્ટરોએ પેપરમાં 90 ટકા બ્લોકેજ દર્શાવ્યું છે.