અમદાવાદ મનપા વેસ્ટમાંથી બેસ્ટ તરફ વધુ એક ડગલું આગળ વધી રહી છે. ગાયના છાણનો ઉપયોગ કરી સ્ટીક તૈયાર કરશે અને આગામી સમયમાં તેને ઈકોમર્સ વેબસાઈટ પર વેચશે પણ આ સિવાય અનેક આયોજન એવા છે કે જેના કારણે ઓછામાં ઓછો કચરો વધે અને તેનો ઉપયોગ પણ થઈ શકે.
શહેરમાંથી રખડતી ગાયોને હટાવીને ગૌશાળામાં રાખવામાં આવી
હાઈકોર્ટે ઉધડો લીધો અને શહેરના રસ્તાઓ પરથી રખડતી ગાયોને હટાવવામાં આવી અને હવે એ ગાયો મનપા સંચાલિત ગૌશાળામાં રાખવામાં આવે છે. ત્યાં ગાયનું જે છાણ એકત્ર થાય છે, તેની સ્ટીક તૈયાર કરી આગામી સમયમાં તેને વેચાણ માટે મૂકવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અંગે પાયલોટ પ્રોજેક્ટ હાથ પર લેવામાં આવ્યો હતો. જે હેઠળ અત્યાર સુધી મનપા દ્વારા 10,000 જેટલી સ્ટીક તૈયાર કરી સ્મશાન અને ધાર્મિક કાર્યમાં ઉપયોગ માટે આપવામાં આવી છે. દાણીલીમડા અને બાકરોલ ખાતે આવેલી ગૌશાળામાં મોટા પ્રમાણમાં ગાયો રાખવામાં આવી છે, જેનું છાણ એકત્ર કરી તેમાંથી સ્ટીક તૈયાર કરવામાં આવી છે. જેથી લાકડાનો ઉપયોગ ઘટે ગત હોળી દરમિયાન પણ આ સ્ટીકથી જ હોલિકા દહન અલગ અલગ જગ્યા પર કરવામાં આવ્યું હતુ.
AMC પ્લાસ્ટિકમાંથી તૈયાર કરશે બાળકો માટે કોટી
હવે શહેરના રસ્તાઓ પર જે પ્લાસ્ટિક એકત્ર થાય છે, તેનો ઉપયોગ કરી તેમાંથી કોટી તૈયાર કરવા માટે પણ વિચારણા ચાલી રહી છે. જે કોટી તૈયાર થાય તેને આગામી સમયમાં મનપા સંચાલિત શાળાના બાળકોને પહેરવા માટે વિનામૂલ્યે આપવામાં આવશે તો આ સિવાય વેજ વેસ્ટ નીકળે તેનો ઉપયોગ પણ કરવામાં આવશે, તેમાંથી ગેસ ઉત્પન્ન કરવામાં આવશે તો નોનવેજ વેસ્ટ નીકળે તેમાંથી કૂતરાઓ માટે બિસ્કીટ તૈયાર કરી તેનું પણ વેચાણ કરવાનું આયોજન ચાલી રહ્યું છે.
મનપાને આવક ઊભી થશે અને પ્રદૂષણ પણ ઘટશે
અત્યાર સુધી સ્થિતિ એ હતી કે આ તમામ કચરો જમા કરવામાં આવતો હતો, જેનાથી શહેરમાં પ્રદૂષણ વધતું હતું તો પીરાણા ખાતે ડુંગર હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી, હાલમાં કચરાના ઢગલા ખાલી કરી તેમાંથી વીજળી ઉત્પન્ન કરવામાં આવી રહી છે, આમ વેસ્ટમાંથી બેસ્ટ તરફ મનપા કાર્યરત થઈ છે. અલગ અલગ કચરા એકત્ર કરીને તેનો રી યુઝ કરવા તરફ કામગીરી હાથ પર લેવામાં આવી છે, જો આ તમામ પ્રોજેક્ટ સફળ થશે તો મોટા પ્રમાણમાં મનપાની આવક ઊભી થશે અને પ્રદૂષણ પણ ઘટશે.













