રાજ્યમાં વાતાવરણ ફેરબદલથી રોગચાળો વકર્યો હોવાની વાત સામે આવી છે. બેવડી ઋતુના કારણે અમદાવાદમાં શરદી, ખાંસી અને તાવના કેસોમાં સતત વધારો થયો છે. રોગચાળાને લઈ સરકારી હોસ્પિટલમાં દર્દીઓની ભારે ભીડ જોવા મળી રહી છે, તાપમાન ગગડતા કેસો વધ્યા હોય તેવી શકયતાઓ પણ સેવાઈ રહી છે. હજારથી વધુ કેસો રોજના હોસ્પિટલમાં સારવાર માટે આવી રહ્યાં છે.


મળતી માહિતી મુજબ, અમદાવાદમાં બેવડી ઋતુથી રોગચાળો વકર્યો છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 1 સપ્તાહમાં 20,565 OPD નોંધાઇ છે.  સૌથી વધારે વાયરલ ઇન્ફેકશનના 327 કેસ નોંધાયા છે. આ સાથે OPDમાં 80 કેસ ઝાડા ઉલટીના તો બીજી તરફ કમળાના 143 દર્દીઓની હાલ સારવાર ચાલુ છે. રોગચાળો ફેલાતા હાલની સીઝનમાં લોકો માસ્ક ફરજિયાત પહેરે અને ટોળામાં જવાનું ટાળે તેવી ડોકટરો સલાહ આપી રહ્યા છે. 

મચ્છરનું ઉત્પાદન વધ્યું !

ચોખ્ખા પાણીમાં એડિસ મચ્છર ઈંડા મુકે છે. જેમાંથી પ્રથમ પોરા ત્યાર બાદ પ્યુપા તેમજ પુખ્ત મચ્છર બને છે. આમ ઈંડામાંથી પુખ્ત મચ્છર બનતા 7થી 10 દિવસનો સમય લાગે છે. મચ્છરનું જીવનચક્ર ટુંકુ હોય છે અને પુનઃ ઉત્પત્તિ ઝડપી હોવાથી તેનો ફેલાવો થોડા સમયમાં ખૂબ ઝડપથી થાય છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં લોકોમાં સાફસફાઈના અભાવ, પોતાના સ્વાાસ્થય પ્રત્યેં બેદરકારી અને માનવીય બેદરકારીથી સહેલાઈથી મચ્છરને પ્રજનન માટે મળી રહેતા ચોખ્ખા પાણીના પાત્રોને કારણે મચ્છરની ઉત્‍૫તિ વધી જાય છે.

ડેન્ગયુ એટલે શું

ડેન્ગ્યુ ફીવર વાઇરલ રોગ છે, આ રોગ મચ્છર એડીસ ઇજિપ્તી, એડીસ અલ્બોપીટક્સ દ્વારા ફેલાય છે. એડસી મચ્છર ડેન્ગ્યુ ઉપરાંત ચિકનગુનિયા , યલોફિવર અને ઝીકા વાઇરલ ઇન્ફેકશન ફેલાવે છે. દુનિયાના 50% લોકો આ રોગ થવાના જોખમમાં રહે છે. ભારે પ્રકારનો ડેન્ગ્યુ જેને ડેન્ગ્યુ હેમરૅઝીક ફીવર કહેવામાં આવે છે જીવલેણ નીવડે છે.

ઉકાળેલુ પાણી પીવુ જોઈએ

વાતાવરણને કારણે પણ વાઇરલ ઇન્ફેક્શન સહિત પાણીજન્ય અને મચ્છરજન્ય રોગનો ખતરો વધી જાય છે તેવામાં બાળકોનું ખાસ ધ્યાન રાખવું ખૂબ જ આવશ્યક છે અને પાણીજન્ય રોગથી બચવા માટે ઓછામાં ઓછી 20 મિનિટ જેટલું પાણી ઉકાળીને ઠંડું પાડીને ગાળીને પીવું જોઈએ.ચોમાસાની સિઝનમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો ફેલાય છે અને આ વર્ષે વરસાદ હજું પણ સતત પડી રહ્યો છે જેના કારણે અમદાવાદ શહેરમાં રોગચાળો વકરી રહ્યો છે. શહેરના ખાનગી દવાખાનાઓ અને સરકારી દવાખાનાઓ દર્દીઓથી ઉભરાઇ રહ્યા છે.


  • Follow us on: