અંબાજીની મુલાકાતે આવેલા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે અંબાજી મંદિરમાં દર્શન કરીને સભા સ્થળે પહોંચ્યા હતા, ત્યાં વિવિધ નેતાઓ દ્વારા તેમનું સ્વાગત અને સન્માન કરાયું હતું. CM ભૂપેન્દ્ર પટેલે આદ્યશક્તિ ધામ અંબાજીમાં આદિશક્તિ રાષ્ટ્રીય મહિલા તિરંદાજી સ્પર્ધાનો પ્રારંભ કરાવતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, આવી સક્રિય સ્પર્ધાનું આયોજનએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિઝનરી લીડરશીપમાં નવા યુગના નવા ભારતની તસવીર છે.
41.50 લાખના ઈનામો અપાશે
આદિશક્તિ રાષ્ટ્રીય મહિલા તિરંદાજી સ્પર્ધાનું આયોજન વડાપ્રધાનની વિઝનરી લીડરશીપમાં નવા યુગના નવા ભારતની તસ્વીર છે તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. આ રાષ્ટ્રીય સ્પર્ધાનું આયોજન રમતગમત અને પ્રવાસનને પ્રોત્સાહન આપતા રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ તથા પ્રવાસન વિભાગના સહયોગથી કરવામાં આવ્યું છે. દેશના 28 રાજ્યોની 550થી વધુ બહેનો સ્પર્ધાઓમાં સહભાગી થશે. રૂ. 41.50 લાખના ઈનામો અપાશે. આ ત્રિ-દિવસીય સ્પર્ધામાં દેશના 28 રાજ્યોની 550થી વધુ યુવા નારી તિરંદાજો ત્રણ કેટેગરીની સ્પર્ધાઓમાં સહભાગી થઈ રહી છે. રાજ્ય સરકાર દ્વારા આ સ્પર્ધામાં વિજેતાઓને કુલ 41.50 લાખ રૂપિયાના ઈનામો એનાયત કરવામાં આવશે.
દેશને ગૌરવ અપાવનારી ગુજરાતની મહિલાઓનો CMએ કર્યો ઉલ્લેખ
મુખ્યપ્રધાને તીર કામઠાના કસબને ખેલ-કૌશલ્ય તરીકે કેળવનારી દેશભરની દીકરીઓને પ્રોત્સાહિત કરતાં કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં દેશમાં નારીશક્તિના કૌશલ્યને નિખારવાના અવસરો ખેલકૂદ ક્ષેત્ર ઉપરાંત ઉદ્યોગ સાહસિકતા, સ્ટાર્ટઅપ, ઈનોવેશનમાં પણ મળ્યા છે. આ સંદર્ભમાં મુખ્યપ્રધાને દેશને ગૌરવ અપાવનારી ગુજરાતની મહિલા ખેલ પ્રતિભાઓ સરિતા ગાયકવાડ, પેરા એથ્લિટ ભાવીના પટેલ અને આર્ચરી રમતમાં રાજ્યને દેશમાં ગૌરવ અપાવનારી ભાર્ગવી ભગોરા, મૈત્રી પઢીયારનો ખાસ ઉલ્લેખ કર્યો હતો.