આજે વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરી દરમિયાન મંત્રીશ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે,અંબાજી અને આસપાસના યાત્રાધામના વિકાસ માટે અત્યારસુધીમાં બે T.P.સ્કીમ અમલી કરાઇ છે.અંબાજી મંદિર અને તેની આજુબાજુના વિસ્તારની આશરે ૬.૦૭ હેકટરની નગર રચના યોજના નં. ૧ (અંબાજી) વર્ષ -૧૯૮૩ થી અમલી છે.નગર રચના યોજના નં. ૧ (અંબાજી) માં મુળખંડોની કિંમતની સામે ફાળવવામાં આવેલ અંતિમખંડોની કિંમતમાં આવતા તફાવત વળતર તરીકે આપવામાં આવ્યાં છે.
સરકારી જમીનમાં ખાનગી ઇસમો દ્વારા બિનઅધિકૃત બાંઘકામો કરવામાં આવ્યા હતા
ટી.પી.-૧ ની લાગુમાં ૨.૮૭ હેકટરની નગર રચના યોજના નં. ૨ (અંબાજી) બનાવવામાં આવી અને વર્ષ - ૧૯૯૭ થી ટી.પી. સ્કીમ નં.-૨ અમલી છે.જેમાં કુલ ૫૩ મુળખંડ(Original Plot) તથા ૭૪ અંતિમખંડો (Final Plot)નો સમાવેશ થાય છે.ટી.પી. સ્કીમ – ૧ તથા ૨ ની બહાર "વિકાસ યોજના" માં આવેલ સરકારી જમીનમાં દબાણ અંગે વિગતો આપતા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, અંબાજી મંદિર, ગબ્બર ડુંગર મંદિર અને ૫૧ શકિતપીઠોને જોડતા શકિત કોરીડોરમાં આવતી મોજે અંબાજી રે.સ.નં. ૮ પૈકી વાળી સરકારી જમીનમાં ખાનગી ઇસમો દ્વારા બિનઅધિકૃત બાંઘકામો કરવામાં આવ્યા હતા,
પ્રાંત અધિકારી દાંતા દ્વારા દબાણ દૂર કરાયા
આ જમીનમાંથી લેન્ડ રેવન્યૂ કોડ, ૧૮૭૯ની કલમ–૬૧ હેઠળ પ્રાંત અધિકારી, દાંતા દ્વારા દબાણ દૂર કરાયા છે.આ જમીનમાં કુલ ૭૯ દબાણો (કાચા-પાક્કા) દૂર કરવામાં આવ્યા છે.આ બાબતે નામદાર હાઈકોર્ટ સમક્ષ ખાસ દિવાની અરજીથી દબાણો દૂર કરવાથી થયેલ અસરગ્રસ્તો ઘ્વારા દાવા દાખલ કરાયા જેના સંદર્ભે નામદાર હાઈકોર્ટ દ્વારા તા.૨૯.૦૧.૨૦૨૫ ના કોમન ઓરલ ઓર્ડરથી વાદીશ્રીઓની દબાણ દૂર ના કરવાની માંગણી ગ્રાહ્ય રાખી નથી.મંત્રી ઋષિકેશ પટેલે, અંબાજી યાત્રાધામ ડેવલપમેન્ટ પ્રોજેકટ સંદર્ભે વિગતો આપતા જણાવ્યું હતું કે, અંબાજી માતા મંદિરથી ગબ્બર ટેકરી સુધીના વિસ્તારનો અંદાજીત ₹૧૧૯૧ કરોડના પ્રોજેક્ટથી વિસ્તૃત વિકાસ કરવામાં આવનાર છે.
સામુદાયિક કાર્યક્રમો માટે સુવિધાઓ આપવામાં આવશે
પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડે બનાવેલ વિકાસ યોજના આધ્યાત્મિકતાને આધુનિક માળખાગત સુવિધાઓ સાથે જોડશે અને આસપાસના પર્યાવરણનું રક્ષણ પણ કરાશે.ગબ્બર ટેકરી પરના જ્યોત અને મંદિરના વિશા યંત્ર વચ્ચે એક સરળ જોડાણ બનશે.ચાચર ચોક અને ગબ્બર મંદિરનો વિકાસ અર્થે કલાત્મક શિલ્પ અને ઇન્ટરેક્ટિવ ડિસ્પ્લેથી સમૃદ્ધ સ્થાનિક સંસ્કૃતિ અને ઇતિહાસને પ્રતિબિંબિત કરાશે. સાથોસાથ, સાંસ્કૃતિક અને સામુદાયિક કાર્યક્રમો માટે સુવિધાઓ આપવામાં આવશે.
પર્યાવરણને અનુકૂળ વોકવે બનાવવામાં આવશે
મંદિર પરિસરથી ગબ્બર ટેકરી સુધીનો પગપાળા જનાર યાત્રાળુઓની સલામતી અને સુવિધા સુનિશ્ચિત કરવા માટે અને તેમને આરામ કરવા માટેના સ્થળો સ્પષ્ટ સાઇનબોર્ડ સાથે પર્યાવરણને અનુકૂળ વોકવે બનાવવામાં આવશે.દિવ્ય દર્શની ચોકના વિકાસનાં ભાગરૂપે સુંદર ડિઝાઇનનાં લોકોના આમોદ પ્રમોદ માટે જગ્યાનાં વિકાસ કરવામાં આવશે, જેમાં બેઠક વ્યવસ્થા, હરિયાળી અને માહિતી માટેના કિઓસ્ક હશે. તેમાં સ્થાનિક વિક્રેતાઓ માટે જગ્યાઓ પણ સુનિશ્ચિત કરાશે.સતી સરોવર અને સતી ઘાટને લેન્ડસ્કેપ બગીચાઓથી અને ધાર્મિક વિધિઓ માટે પર્યાવરણને અનુકૂળ વિકસાવવામાં આવશે.આ પ્રોજેક્ટ પૂર્ણ થવાથી માત્ર ગુજરાત પર્યટન જ નહીં, પણ આવનારી પેઢીઓ માટે આધ્યાત્મિક સ્થળ તરીકે અંબાજીનું મહત્વ પણ વધશે તેમ મંત્રીએ ઉમેર્યું હતું.