બનાસકાંઠા જિલ્લાના વિભાજનના આજે અમદાવાદમાં પડઘા પડ્યા.બનાસકાંઠા જિલ્લાના વિભાજને લઈને છેલ્લા ઘણા દિવસોથી ઉહાપોહ મચ્યો છે. ધાનેરાના સ્થાનિકોએ આજે અમદાવાદની કલેક્ટર ઓફિસ જઈ હોબાળો મચાવ્યો. કોઈપણ સંજોગોમાં અમે થરાદ જિલ્લો નહિ સ્વીકારીએ તેવી ઉગ્ર રજૂઆત સાથે ધાનેરાના સ્થાનિકોએ અમદાવાદ કલેક્ટરને આવેદન પત્ર આપ્યું. આ સાથે 21 જાન્યુઆરીના રોજ ધાનેરામાં મહારેલીની ઘોષણા સાથે આગામી સમયમાં આ મામલો વધુ ઉગ્ર બનશે તેવી ચીમકી પણ ઉચ્ચારી.
વિભાજન કરતાં ધાનેરાના લોકોમાં રોષ
બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી ધાનેરા તાલુકાને વાવ થરાદ જિલ્લામાં સમાવી દેતા ધાનેરા વિસ્તારના લોકોમાં ભારે રોષ જોવા મળ્યો. લોકોની માંગ છે કે ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવામાં આવે. રોષે ભરાયેલા લોકોએ આક્ષેપ કર્યો છે કે થરાદમાં મેડિકલ તેમજ એજ્યુકેશનની સુવિધાનો અભાવ છે. તેવામાં તેનું વિભાજન થતાં સ્થિતિ વધુ વણસશે.અને સ્થાનિકોને સરકારી રાહત અને યોજનાથી વંચિત રહેશે.સ્થાનિક નેતાઓને વિશ્વાસમાં લીધા વિના વિભાજનની જાહેરાત કરવામાં આવી છે. આથી જ કોઈપણ સંજોગોમાં અમે થરાદ જિલ્લો નહિ સ્વીકારીએ. લોકોએ એવી માંગ પણ કરી કે થરાદ જિલ્લામાં ધાનેરાને સમાવવા માટે ધાનેરાના સ્થાનિકોનું ડોર ટુ ડોર રિવ્યૂ લેવામાં આવે.
શું છે મૂળ મુદ્દો
બનાસકાંઠા જિલ્લો ભૌગોલિક અને વિસ્તારની દ્રષ્ટિએ 14 તાલુકા ધરાવે છે. આ જિલ્લાના પશ્ચિમ વિસ્તારના લોકો અનેક સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આથી પોતાના વહીવટી કામોને લઈ અનેક અગવડતાનો સામનો કરતા પશ્ચિમ વિસ્તારના લોકોએ જિલ્લા વિભાજનની માંગ કરી. લોકોએ સરકારને રજૂઆત કરી કે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી નવો એક જિલ્લો બનાવવામાં આવે જેથી તેમને મેડિકલ તેમજ શિક્ષણ ક્ષેત્રે સરકારી સહાય મળે.
વર્ષોજૂની માંગને મંજૂરીનું સરકારનું રટણ
લોકોની વર્ષોજૂની માંગ મંજૂર કરતાં કેબિનેટની બેઠકમાં બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી વાવ થરાદ નવો જિલ્લો બનાવવાનો નિર્ણય કરાયો હતો. આ જિલ્લામાં 8 તાલુકાઓનો સમાવેશ કરાયો છે. જો કે આઠ તાલુકાઓમાં ધાનેરા તાલુકાને પણ વાવ થરાદ જિલ્લામાં સામેલ કરી દેતા હવે ધાનેરા વિસ્તારના લોકો તેમને બનાસકાંઠામાં જ રાખવામાં આવે તેવી માંગ સાથે રસ્તા પર રેલી કરી ધાનેરા બંધનું એલાન પણ આપ્યું હતું. હવે બનાસકાંઠાનો જિલ્લા વિવાદ અમદાવાદ પંહોચ્યો છે. અને આજે ધાનેરાના સ્થાનિકોએ કલેકટર કચેરી હોબાળો મચાવતા માંગ નહીં સ્વીકારાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચારી.