• નાવમાં સવાર ચાર વ્યક્તિઓનો હેમખેમ બચાવ
  • ગઢડામાં પુરાતન બેલનાથ મહાદેવ મંદિર આવેલુ છે
  • ચાર સભ્યો નાવમાં બેસીને મંદિરે જઈ રહયા હતા

ગઢડા(સ્વામીના) તાલુકાના ચોસલા, અનિડા, માંડવા, ખીજડીયા અને ગઢાળી ગામ ફરતા કાળુભાર, સીતાપરી અને રસનાળી એમ ત્રણ નદીઓના સંગમ કાંઠે મનોહર કુદરતી સૌંદર્ય વચ્ચે વિરતાના પ્રતિકના સાક્ષી તરીકે ઊભેલી ખાંભીઓ સહિત પુરાતન બેલનાથ મહાદેવ મંદિર આવેલુ છે. ખાસ શ્રાવણ માસમાં લોકો મોટી સંખ્યામાં દર્શન માટે જતા હોય છે. આ મંદિર નદી વચ્ચે આવેલુ હોવાથી ગ્રામજનો દ્વારા નાની નાવની વ્યવસ્થા કરવામાં આવી છે. આ દરમિયાન અકસ્માતે નાવ ડૂબતા સામાકાંઠે ઉભેલા એક વ્યક્તિએ બચાવ‌ માટે નદીમાં ઝંપલાવતા પરગજુ વ્યક્તિનુ નદીમાં ડૂબી જવાથી મોત નિપજવાની ઘટના બનવા પામી હતી.


નદીમાં આવવા-જવા માટે નાવની વ્યવસ્થા કરેલ છે

આ મંદિરે પહોંચવા માટે નદી વચ્ચેથી થોડુ અંતર કાપવુ પડે તેવો રસ્તો હોવાથી આવા ગમન માટે બંને છેડે વર્ષોથી વાયર બાંધી એક નાવની વ્યવસ્થા રાખવામાં આવી છે. આ પુરાતન મંદિરે આજુબાજુના ગામો અનિડા, ચોસલા, ખીજડીયા, ગઢાળી, વનાળી, સાંજણાવદરના ભક્તો મોટી સંખ્યામાં આવતા હોય છે. શ્રાવણ માસના અંતિમ દિવસે વહેલા સવારે આઠ વાગ્યા આજુબાજુ ગઢાળીના એક પરિવારના ચાર સભ્યો નાવમાં બેસીને મંદિરે જઈ રહયા હતા. આ દરમિયાન અકસ્માતે નાવ હાલકડોલક થઈને ડૂબતા નાવ સવાર વ્યક્તિ નદીમાં પડી જતા અફડા તફડી મચી ગઇ હતી. આ ઘટનાનાં પગલે અકસ્માત જોનાર સામાકાંઠે ઉભેલા પૂર્વ ગઢાળી ગામના હરપાલસિંહ ભવાન‌સિંહ ગોહિલ (ઉંમર 58) નાવમાં બેઠેલા ચાર વ્યક્તિને બચાવવા માટે નદીમાં પડતા વમળમાં ફસાઈ જતા ડૂબી જવાના કારણે આકસ્મિક મૃત્યુ થતા શોકની લાગણી ફેલાઇ જવા પામેલ. આ ઘટનાના પગલે તાલુક વિકાસ અધિકારી, મામલતદાર તથા પોલીસ સહિતના દોડી આવ્યા હતા.‌


  • Follow us on: