• 2500 નવી લાઈટો નંખાશે

  • નવા વિસ્તારોમાં નંખાશે લાઈટો
  • અંદાજિત 10 કરોડ રૂપિયાનો આવશે ખર્ચ

અમદાવાદ મનપાની સ્ટેન્ડિગ કમિટીની બેઠક આજે મળી હતી. જેમાં આજે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. નવા વિસ્તારોમાં નવા લાઈટના પોલ નાખી શહેરમાં અનેક વિસ્તારોને રોશન કરવાના નિર્ણયને મંજૂરી આપવામાં આવી છે.

આ મામલે વધુ માહિતી અનુસાર અમદાવાદ મનપાની સ્ટે. કમિટીની બેઠક આજે મળી હતી. આ બેઠકમાં કરોડોના ખર્ચે શહેરમાં નવી સ્ટ્રીટ લાઈટો નાખવાના નિર્ણયને મંજૂરી અપાઈ હતી. આ નિર્ણય અનુસાર શહેરમાં નવી સ્ટ્રીટ લાઈટ નાખવામા આવશે. આંકડાકીય માહિતી પ્રમાણે જોઈએ તો શહેરના નવા વિસ્તારોમાં કુલ 2500 જેટલી સ્ટ્રીટ લાઈટો નાખવાના નિર્ણયને મંજૂર કરવામાં આવ્યો છે. જેનો અંદાજિત ખર્ચ રૂ. 10 કરોડ જેટલો થવા જાય છે. આ કામગીરીને આગામી 3 મહિનામાં આટોપી લેવાનો લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત શિયાળામાં સાંજે વહેલા લાઈટ ચાલુ કરવાની સૂચના પણ તંત્રને આપી દેવાઈ છે.

મહત્વનું છે કે આ નિર્ણયથી અમદાવાદ શહેર મનપાની હદમાં ભળેલા નવા વિસ્તારોના રહીશો અને વટેમાર્ગુઓને મોટો લાભ થશે. કારણ કે અત્યાર સુધી અન્ય સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની હદમાં રહેલા આ વિસ્તારોનો હવે ઝડપી શહેરીકરણના લીધે ઘણો વિકાસ થઈ ચૂક્યો છે. આ વિસ્તારોને દર થોડા થોડા નિયત સમયે મનપાની હદમાં ભેળવવમાં આવ્યા છે. આ વિસ્તારોમાં અત્યાર સુધી ટ્રાફિક વધતા લોકોને સાંજના સમયે ઘણી મુશ્કેલી પડતી હતી. જો કે મનપાની આ નવી 2500 સ્ટ્રીટ લાઈટો નાખવાના નિર્ણયના અમલ બાદ આ વિસ્તારોના રહીશોની સમસ્યા હલ થશે એ નક્કી છે.

ખાસ કરીને સાંજના સમયે લાઈટો વહેલી ચાલુ કરવાના નિર્ણયના લીધે પણ સ્થાનિકો તેમજ રસ્તા પરથી પસાર થતા લોકોને મોટી રાહત મળી શકે તેમ છે. હાલ શિયાળાના દિવસો હોવાથી અંધારું થઈ જતું હોવાના કારણે આ નિર્ણયથી લોકોને મોટો ફાયદો થઈ શકે તેમ છે. લાઈટોના કારણે નવા વિસ્તારોનો ઝગમગાટ પણ વધી જશે.


  • Follow us on: