રાજ્યભરમાં લોકોને વધુ વળતરની લાલચ આપી પોંઝી સ્કીમોમાં રોકાણ કરાવી રૂ. 6 હજાર કરોડનું મસમોટું કૌભાંડ આચરનાર BZ ગ્રૂપનાં માલિક ભૂપેન્દ્રસિંહ ઝાલાની જામીન અરજી પર આજે ગ્રામ્ય કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ છે, જેમાં બચાવ પક્ષે અનેક રજૂઆતો કરી. કોર્ટે બચાવ પક્ષની રજૂઆત બાદ તપાસનીશ અધિકારીને હાજર થવા હુકમ કર્યો છે. આ મામલે સોમવારે વધુ સુનાવણી હાથ ધરાશે.
રાજ્યમાં પોંઝી સ્કીમો થકી લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરવાનાં કેસમાં BZ ગ્રૂપનાં માલિક ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ બાદ જામીન અરજી પર આજે ગ્રામ્ય કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. સુનાવણી દરમિયાન ભૂપેન્દ્રસિંહ ઝાલાના વકીલે દલીલ કરી કે, 6 હજાર કરોડથી આંકડો ઘટીને હવે 172 કરોડ પર આવ્યો છે. સરકારે આજે એફિડેવિટ કરી, જેમાં 172 કરોડ ચૂકવવાનાં બાકી હોવાનું કહેવાયું છે અને એક પણ પૈસાનું ડિફોલ્ડ નથી થયું. વકીલે ખાતરી આપતા કહ્યું કે, જેલમાંથી બહાર કાઢવામાં આવશે તો તમામનાં નાણાં સમયસર મળતા થઈ જશે.
ભૂપેન્દ્ર ઝાલા વતી વકીલે કોર્ટમાં શું આપી ખાતરી?
- જામીન અપાશે તો નાણાં સમયસર મળતા થઇ જશે
- રાજ્યમાં નાણાંકીય સ્થિરતા માટે જામીન જરુરઃ વકીલ
- સરકારે એકાઉન્ટ બ્લોક કરતા પૈસા મળતા બંધ થયા
- ફરિયાદ પહેલાં રોકાણકારોને પૈસા ન મળ્યા હોય તેવું બન્યું નથી
- 6 હજાર કરોડથી આંકડો ઘટી 172 કરોડ પર આવ્યો
- કોર્ટે તપાસનીશ અધિકારીને હાજર થવા હુકમ કર્યો
'મને જેલમાંથી બહાર કાઢો, રોકાણકારોના તમામ પૈસા પરત કરીશ'- ભૂપેન્દ્રસિંહ ઝાલા
ભૂપેન્દ્રસિંહ ઝાલા વતી વકીલે કોર્ટમાં ખાતરી આપી કે ભૂપેન્દ્રસિંહ ઝાલાને જેલમાંથી બહાર કાઢવામાં આવશે તો તમામ રોકાણકારોના નાણાં સમયસર મળતા થઇ જશે. 4366 રોકાણકારોના 250 કરોડથી વધુ નાણાં વ્યાજ સાથે પરત આપ્યા તેવું તપાસનીશ અધિકારીના સોગંદનામાથી સાબિત થાય છે. આ સાથે જ ભૂપેન્દ્રસિંહ ઝાલાના વકીલે કોર્ટમાં જણાવ્યું કે જો રાજ્યમાં નાણાકીય અસ્થિરતા ઉભી ના કરવી હોય તો જામીન આપવા જરૂરી છે.
ભૂપેન્દ્રસિંહ ઝાલા વતી કોર્ટમાં હાજર રહેલા વકીલ વિરલ આર.પંચાલે કહ્યું કે, 'ગાંધીનગર CID ક્રાઇમ દ્વારા ભૂપેન્દ્રસિંહ ઝાલા અને એજન્ટો સહિતના લોકો પર 27 નવેમ્બર 2024ના રોજ ફરિયાદ નોંધવામાં આવી હતી. આ મામલે જામીન અરજી મુકતા કોર્ટમાં દલીલો કરી હતી. જે દિવસે ફરિયાદ કરવામાં આવી તે દિવસ સુધી એક પણ રૂપિયાનો ડિફોલ્ટ થયો નથી અને કોઇ રોકાણકારોના પૈસા ડુબ્યા નથી કે કોઇ ફરિયાદ પણ નોંધાઇ નથી.ઇન્ચાર્જ ઓફિસરની એફિડેવિટ ભૂલભરેલી હતી. આ આખી ફરિયાદ ખોટી રીતે ઉભી કરવામાં આવી છે. જે તે સમયે ફરિયાદ દાખલ કરવામાં આવી ત્યારે આ કૌભાંડ 6000 કરોડ રૂપિયાનું હોવાનું કહેવામાં આવતું હતું. ઇન્ચાર્જ ઓફિસરે એફિડેવિટ રજૂ કરી ત્યારે 400 કરોડનો આંકડો આવ્યો હતો. આ વખતે રેગ્યુલર જામીન અરજી મુકવામાં આવી ત્યારે એફિડેવિટમાં 172 કરોડ રૂપિયા રોકાણકારોને ચુકવવાના બાકી છે તેમ જણાવવામાં આવ્યું છે. '