• સોમનાથ મંદિર પરિસરમાં કરાઇ ભવ્ય ઉજવણી
  • શ્રદ્ધાળુઓ શિવભક્તિ સાથે રાષ્ટ્રભક્તિમાં જોડાયા
  • મંદિરને કેસરી, સફેદ, અને લીલી રોશનીથી સુશોભિત કરાયું

સોમનાથ મંદિરમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી છે. જેમાં સોમનાથ મંદિર પરિસરમાં ભવ્ય ઉજવણી કરાઇ છે. તેમાં શ્રદ્ધાળુઓ શિવભક્તિ સાથે રાષ્ટ્રભક્તિમાં જોડાયા છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર આજે 78માં સ્વતંત્રતા પર્વ પર ધર્મભક્તિ અને રાષ્ટ્રભક્તિનું સંગમ સ્થાન બન્યું હતું.

શિવભક્તિની સાથે રાષ્ટ્રભક્તિનું રસપાન

સોમનાથ મંદિરને કેસરી, સફેદ, અને લીલી રોશનીથી તિરંગો રચાય તે રીતે સુશોભિત કરવામાં આવ્યું હતું. શ્રી સોમનાથ જ્યોતિર્લિંગને કેસરી સફેદ અને લીલા વસ્ત્રોથી આભૂષિત કરી તિરંગા દર્શન સર્જવામાં આવ્યા હતા. મંદિર પરિસરમાં પ્રવેશની સાથે જ શ્રદ્ધાળુઓને શિવભક્તિની સાથે રાષ્ટ્રભક્તિનું રસપાન સોમનાથ તીર્થનું વાતાવરણ કરાવી રહ્યું હતું. શ્રી સોમનાથ જ્યોતિર્લિંગના દર્શન કરીને ભક્તોએ સાચા અર્થમાં ધર્મભક્તિ અને રાષ્ટ્રભક્તિને એક થતી જોઈ હતી. શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જે.ડી પરમારના હસ્તે ભારતીય રાષ્ટ્રધ્વજને ધ્વજ વંદન કરાયું હતું. આ તકે ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા સહિત સમગ્ર ટ્રસ્ટ પરિવાર ઉજવણીમાં જોડાયેલ હતા.

દેશ આજે 78મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે

દેશ આજે 78મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા પર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. તેમજ ગુજરાતમાં પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 78માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અંતર્ગત નડિયાદ ખાતે ધ્વજવંદન કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ સાથે આજે રાજ્યના અનેક મંદિરોમાં ભગવાનને પણ તિરંગાનો દિવ્ય શૃંગાર કરવામાં આવ્યો છે જેમાં ભગવાનની ભક્તિ સાથે રાષ્ટ્રની ભક્તિનો અનુભવ લોકોને થયો હતો.


  • Follow us on: