કરોડો હિન્દુઓની આસ્થા ધરાવતું ખેડા જિલ્લાનું સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર હાલની પરિસ્થિતિમાં ગંદકીથી ખદબદી રહ્યું છે. શ્રી કૃષ્ણ નગરી ડાકોરમાં ઠેર ઠેર કચરાના ઢગ, ઉભરાતી ગટરો અને ગંદકી જ ગંદકી જોવા જોવા મળે છે. ન માત્ર રાજ્યના લોકો પણ દેશ-વિદેશથી આવતા યાત્રાળુઓ પણ ડાકોરની અવ્યવસ્થાથી હેરાન પરેશાન છે.
ગોમતી ઘાટનું પાણી પણ થયું દુષિત
યાત્રાધામ ડાકોર આવતા તમામ યાત્રાળુઓ અચૂક પવિત્ર ગોમતી ઘાટ પર જાય છે, કારણ કે તેની સાથે ભગવાન શ્રી કૃષ્ણનો ઈતિહાસ જોડાયેલો છે. જેમાં ભક્ત બોડાણાથી પ્રસન્ન થઈ દ્વારકાથી રથમાં સવાર થઈ ભગવાન શ્રીકૃષ્ણ ડાકોર આવ્યા અને દ્વારકાથી પાછળ પડેલા ગૂગડીઓથી ભગવાનને બચાવવા માટે આ મૂર્તિને ગોમતી તળાવમાં છુપાવવામાં આવી હતી. ત્યારથી લઈને આજ દિન સુધી ગોમતીને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને રાજા રણછોડના દર્શન કરનાર દરેક શ્રદ્ધાળુ ગોમતીના ઘાટ પર આવીને પવિત્ર જળનું આચમન કરીને જળ માથે ચડાવે છે અને ગોમતી તળાવમાં શ્રદ્ધાળુઓ સ્નાન પણ કરે છે. પરંતુ તે શ્રદ્ધાળુઓને એ નથી ખબર કે જે જળનું તેઓ આચમન કરી રહ્યા છે તે જળ કેટલું દુષિત અને સ્વાસ્થ્ય માટે હાનિકારક છે?
તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની દેખરેખ રાખવામાં આવતી નથી
ત્યારે ગોમતી તળાવના ગાટનું આટલું મહત્ત્વ હોવા છતાં હંમેશા આખા ડાકોર તેમજ ગોમતી તળાવની ઉપેક્ષા જ કરવામાં આવી છે અને વહીવટી તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની જાળવણી કે સાફ સફાઈ નિયમિત કરવામાં આવી રહી નથી. જેને કારણે આખું ડાકોર અને ગોમતી તળાવ ગંદકીથી ખદબદી રહ્યું છે અને સ્થાનિકો તેમજ આવતા જતા શ્રદ્ધાળુઓને પણ વારંવાર મુશ્કેલીઓ અને તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે છતાં પણ અધિકારીઓની આંખ ઉઘડી રહી નથી.
ગેરકાયદેસર પ્રવૃતિઓ વધી, તંત્ર અને પોલીસ વિભાગ ઘોર નિંદ્રામાં
બીજી તરફ આજ ડાકોરનું પવિત્ર ગોમતી તળાવ હવે અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયુ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં ડાકોર ગોમતી તળાવના કિનારે આવેલું ગાંધીબાગ કે જ્યાં અસામાજિક તત્વો દેશી તેમજ વિદેશી દારૂનો નશો કરીને વિદેશી દારૂની બોટલો અને દેશી દારૂની પોટલીઓ ત્યાં જ ગોમતી તળાવમાં નાખે છે. જે વીડિયોમાં સ્પષ્ટ જોવા મળ્યુ છે. આ ઉપરાંત ઘણી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પણ આવી અનેક જગ્યાઓ પર થાય છે, જેનું મુખ્ય કારણ પોલીસ તંત્ર અને વહીવટી તંત્રની નિષ્ક્રિયતા છે. પવિત્ર યાત્રાધામ ડાકોરમાં અસામાજિક પ્રવૃત્તિઓની ચાલી રહેલી બદી જો વહેલી તકે દૂર કરવામાં કે તેના પર અંકુશ લાવવામાં નહીં આવે તો આવનાર સમયમાં સ્થાનિકો તેમજ દૂર દૂરથી આવતા યાત્રાળુઓને તેના ભોગ બનવું પડશે અને વહીવટી તંત્ર દ્વારા વહેલામાં વહેલી તકે યાત્રાધામ ડાકોરનો સાચા અર્થમાં વિકાસ થાય તે દિશામાં જરૂરી તમામ પગલાં ભરવા પડશે.













