આજે મળીએ બોટાદ જિલ્લાના એવા ધરતીપુત્રને જેઓ વર્ષોથી ખેતી કરી રહ્યા છે અને છેલ્લા પાંચ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. બોટાદ તાલુકાના જમરાળા ગામના આ છે ધરતીપુત્ર ભીમસંગભાઈ દેવસંગભાઇ વાળા.ધરતી એ આપણી માતા છે અને આપણે હંમેશા આપણી માતા પાસેથી લેતા રહ્યા છીએ, પણ આપણે આપણી ધરતી માતાને કંઈ અર્પ્યું નથી.એટલા માટે પ્રાકૃતિક કૃષિ ધરતી માતા પ્રત્યે આભાર વ્યક્ત કરવા માટે શરૂ કરનારા ભીમસંગભાઈ બોટાદ જિલ્લાના પ્રગતિશીલ ખેડૂત છે.


ઉનાળુ પાક તરીકે બાજરીનો પાક

આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી તેમજ ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ નિરંતર પ્રાકૃતિક કૃષિને રોગ સહન આપતા રહ્યા છે અને આ ઝુંબેશ માં રાજ્યના તમામ ખેડૂતો જોડાઈ તે માટે સદા પ્રયત્નશીલ છે ભીમસંગભાઈ પ્રાકૃતિક ખેતી તરફના તેમના પ્રયાણના અનુભવને ભણાવતા જણાવે છે કે, હું છેલ્લા પાંચ વર્ષથી સુભાષ પાલેકર પદ્ધતિથી ખેતી કરી રહ્યો છું. હું કુદરતી ખેતી વડે કપાસ, મરચી, હળદર સહિતના પાકોનું વાવેતર કરું છું. સાથે સાથે અમે ઉનાળુ પાક તરીકે બાજરીનો પાક લઉ છું.


પ્રાકૃતિક ખેતીમાં સારૂ વળતર

જેના થકી મને સારું એવું વળતર મળી રહે છે. કુદરતી ખેતીની પદ્ધતિથી શરૂઆતમાં ખર્ચ ખૂબ ઓછો થાય છે અને આ ખર્ચ ધીમે ધીમે શૂન્ય થતો જાય છે. સાથે સાથે મેં મારા ખેતરમાં સોલાર પ્લાન્ટ પણ ઊભો કર્યો છે. જેના થકી સૂર્યની ઊર્જાનો શ્રેષ્ઠ ઉપયોગ થઈ શકે છે અને વીજળીની કોઈ પણ પ્રકારની ચિંતા રહેતી નથી.ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા સંદેશ આપતા ખેડૂત ભીમસંગભાઈએ જણાવ્યું હતું કે, આપણે જો જમીન, જળ અને પર્યાવરણ બચાવવું હોય તો સુભાષ પાલેકર ખેતી પદ્ધતિ ઉત્તમ છે.

પ્રાકૃતિક કૃષિ એક નંબર

ધરતીપુત્રોએ આ ખેતી પદ્ધતિ અપનાવી જ પડશે, કારણ કે અત્યારના સમયમાં લોકોને ડાયાબિટીસ બીપી હૃદયની બીમારી સહિતની બીમારીઓ જોવા મળી રહી છે. જેના મૂળ કારણમાં રાસાયણિક ખેતીનો પણ સમાવેશ થાય છે. જેને નાથવા માટે પ્રાકૃતિક કૃષિ વિકલ્પ છે. ક્લાઈમેટ ચેન્જનું એક મુખ્ય કારણ પણ રાસાયણિક ખેતી છે. સમગ્ર કુદરતી પ્રક્રિયા ખોરવાઈ જાય છે. જેના કારણે જીવન સૃષ્ટિના સહન કરવું પડે છે. તો તેના ઉપાય રૂપે આપણે સૌએ પ્રાકૃતિક કૃષિ તરફ વળવું અનિવાર્ય છે.”તેમ ખેડૂત ભીમસંગભાઈએ જણાવ્યું હતું.


50 ટકા સબસીડી મળી

સહયોગ અને માર્ગદર્શન માટે હંમેશા તત્પર રહેતા બોટાદ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, આત્મા વિભાગના અધિકારીશ્રીઓ તેમજ બાગાયત વિભાગના અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓનો ભીમસંગભાઈએ આભાર માન્યો હતો.કેન્દ્ર અને રાજ્ય સરકાર પણ પ્રાકૃતિક કૃષિ અને સૌર ઉર્જાનો ઉપયોગ કરવાં ખેડૂતોને પ્રોત્સાહન આપી રહી છે. ભીમસંગભાઈને સૂર્ય શક્તિ કિસાન યોજના અંતર્ગત 50% ટકા સબસીડી મળી છે જેથી તેમને ઓછાં ખર્ચે વધુ લાભ થયો છે.

  • Follow us on: