જિલ્લા રોજગાર વિનિમય કચેરી, પાલનપુર અને જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે નગરપાલિકા ટાઉન હોલ, પાલનપુર ખાતે ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો રોજગાર ભરતી મેળો અને એનાયતપત્ર વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.
બનાસકાંઠા રોજગાર કચેરીની કામગીરી
કાર્યક્રમમાં ધારાસભ્ય અનિકેત ઠાકરે ઉમેદવારોને પ્રોત્સાહિત કરતાં જણાવ્યું હતું કે, આધુનિક સમયમાં રોજગારી મેળવવા માટે પોતાની કુશળતાને અપડેટ રાખવી ખૂબ જ જરૂરી છે. તેમણે ઉમેદવારોને જિલ્લા અને જિલ્લા બહારની નોકરીની તકોનો લાભ લેવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.જિલ્લા વિકાસ અધિકારી એમ.જે. દવેએ ઉમેદવારોને માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે, ઉમેદવારોએ પોતાના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવીને નવી નોકરીની તકો શોધવી જોઈએ. તેમણે રોજગાર કચેરી બનાસકાંઠાની કામગીરીની પ્રશંસા કરી હતી અને એપ્ટીટ્યુડ ટેસ્ટ દ્વારા ઉમેદવારોને તેમની રુચિ અનુસાર નોકરી મળે તે માટે રોજગાર કચેરીને અપીલ કરી હતી.
583 ઉમેદવારોને નોકરીની ઓફર મળી
આ કાર્યક્રમમાં જિલ્લાના કુલ 1352 ઉમેદવારોએ ભાગ લીધો હતો અને 22 નોકરી દાતાઓએ ભરતી પ્રક્રિયામાં ભાગ લીધો હતો. આ ભરતીમેળા દ્વારા કુલ 583 ઉમેદવારોને નોકરીની ઓફર મળી છે. આ કાર્યક્રમમાં વિવિધ કંપનીઓમાં રોજગારી અને એપ્રેન્ટિસ નિમણૂક મેળવેલા 20 ઉમેદવારોને એનાયતપત્ર વિતરણ કરવામાં આવ્યા હતા.કાર્યક્રમમાં રોજગાર અધિકારી (વ્ય.મા) એમ.જે. પ્રજાપતિએ જણાવ્યું હતું કે, આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રોજગાર કચેરી, પાલનપુર અને જિલ્લા વહીવટીતંત્રે સંયુક્ત પ્રયાસો કર્યા છે. આ રોજગાર ભરતી મેળો યુવાનો માટે રોજગારી મેળવવાની એક સારી તક સાબિત થયો છે.