- બનાસકાંઠામાં 10 હજાર કરતા વધુ વિદ્યાર્થીઓએ ખાનગી શાળાઓ છોડી
- વડોદરા મહાનગરપાલિકામાં કુલ 10,602 વિદ્યાર્થીઓએ સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો
- ગુજરાત સરકારે શિક્ષણ ક્ષેત્રે બજેટમાં પણ મોટી વૃદ્ધિ કરી
રાજ્યમાં ખાનગી શાળાઓમાંથી વિદ્યાર્થીઓ સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં બાલવાટિકાથી લઈને ધોરણ 12 સુધી કુલ 2.29 લાખથી વધુ વિદ્યાર્થીઓએ ખાનગી શાળાઓમાંથી સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવ્યો છે.
અમદાવાદ મહાનગરપાલિકામાં સૌથી વધુ કુલ 37 હજાર બાળકોએ ખાનગી શાળામાંથી સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો
પ્રાપ્ત માહિતી અનુસાર વર્ષ 2024-25માં અમદાવાદ મહાનગરપાલિકામાં સૌથી વધુ કુલ 37 હજાર બાળકોએ ખાનગી શાળામાંથી સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે તો સરહદી જિલ્લા બનાસકાંઠામાં 10 હજાર કરતા વધુ વિદ્યાર્થીઓએ ખાનગી શાળાઓને અલવિદા કહીને સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવ્યો છે તો સુરત મહાનગરપાલિકાની વાત કરીએ તો ત્યાં કૂલ 22,892 વિદ્યાર્થીઓએ ખાનગી શાળાઓની જગ્યાએ સરકારી શાળાઓમાં પ્રવેશ લીધો છે.
રાજકોટ મહાનગરપાલિકામાં કુલ 22,892 વિદ્યાર્થીઓએ સરકારી શાળામાં એડમિશન લીધુ
ત્યારે વડોદરા મહાનગરપાલિકામાં કુલ 10,602 વિદ્યાર્થીઓએ સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે તો રાજકોટ મહાનગરપાલિકામાં કુલ 22,892 વિદ્યાર્થીઓએ, જ્યારે મહેસાણામાં 8,267 વિદ્યાર્થીઓએ ખાનગી શાળાને ટાટા બાય બાય કહીને સરકારી શાળામાં પ્રવેશ લીધો છે.
સરકારી શાળાઓમાં ગુણવત્તાયુકત શિક્ષણ અને અત્યાધુનિક માળખાગત સુવિધા
રાજ્યમાં સરકારી શાળાઓમાં ગુણવત્તાયુકત શિક્ષણ અને અત્યાધુનિક માળખાગત સુવિધાઓના પગલે વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી રહ્યા છે. સરકારી શાળાઓમાં પણ હવે સ્માર્ટ ક્લાસ, કોમ્પ્યુટર લેબ, પુસ્તકાલય, રમત-ગમતના મેદાન અને પોષણયુક્ત મધ્યાહન ભોજન તેમજ ગરીબ વિદ્યાર્થીઓને યુનિર્ફોમ સહિત અન્ય ઘણી સુવિધાઓ સરકાર દ્વારા પૂરી પાડવામાં આવે છે. આ સિવાય પણ યોગા, કસરત સહિતની ઘણી પ્રવૃતિઓ સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓના શારીરીક વિકાસ માટે કરાવવામાં આવતી હોય છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની સરકારમાં શિક્ષણ ક્ષેત્રે સતત પરિવર્તન
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની સરકારમાં શિક્ષણ ક્ષેત્રે સતત પરિવર્તન આવી રહ્યું છે અને 'સૌ કોઈ ભણે'ના ધ્યેયમંત્ર સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે શિક્ષણ ક્ષેત્રે બજેટમાં પણ મોટી વૃદ્ધિ કરી છે. વર્ષ 2023-24માં ગુજરાત સરકારે કુલ રૂપિયા 55,114 કરોડની માતબર રકમની જોગવાઈ કરી છે.