ગુજરાત રાજ્યનું વર્ષ 2025-26 માટેનુ નાણાંકીય અંદાજપત્ર (બજેટ) 20મી ફેબ્રુઆરીને ગુરૂવારે વિધાનસભામાં રજૂ થશે. નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા રજૂ નવા વર્ષના બજેટનું કદ રૂપિયા 3.12 લાખ કરોડને પાર થઈ શકે છે. ગયા વર્ષે રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈએ વિધાનસભામાં 2024-25નું બજેટ રજૂ કર્યું હતું. રાજ્ય સરકારે જે બજેટ 2024-25 રજૂ કર્યું હતું એ ઐતિહાસિક કુલ 3 લાખ 32 હજાર 465 કરોડનું બજેટ હતું. નાણામંત્રી કનુભાઈ દેસાઈ તેમનું ત્રીજુ બજેટ રજૂ કર્યું હતું. નોંધનીય છે કે ગુજરાતમાં બજેટ રજૂ કરવાનો ઇતિહાસ પણ ઘણો રસપ્રદ છે. ત્યારે આજે વાત કરીએ ગુજરાતમાં સૌથી વધારે કોણે બજેટ રજૂ કર્યુ.


ગુજરાતનું પહેલું બજેટ ડૉ. જીવરાજ મહેતાએ રજૂ કર્યું હતું

1 મે 1960ના રોજ મહારાષ્ટ્રથી ગુજરાત છૂટું પડ્યું, આ પછી ગુજરાતનું પહેલું બજેટ ડૉ. જીવરાજ મહેતાએ રજૂ કર્યું હતું. તે સમયે ડૉ. જીવરાજ મહેતા મુખ્યમંત્રી પણ હતા અને નાણાંમંત્રીનો હવાલો પણ સંભાળતા હતા. ગુજરાતનું પહેલું બજેટ 22 ઓગસ્ટ 1960 ના રોજ અમદાવાદ વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યું હતું.

વજુભાઈ વાળાએ સૌથી વધુ વખત રજૂ કર્યું રાજ્યનું બજેટ

નરેન્દ્ર મોદીના નામે સૌથી વધુ સમય સુધી સતત મુખ્યમંત્રી રહેવાનો વિક્રમ છે, ત્યારે તેમના શાસનમાં પૂર્વ નાણામંત્રી તરીકે વજુભાઈ વાળાએ સતત 18 વખત રાજ્યનું બજેટ રજૂ કર્યું હતું. વજુભાઈ વાળાએ મોદી શાસનમાં 11મું અંદાજપત્ર રજૂ કરીને અનોખો વિક્રમ પણ રચ્યો હતો.

વજુભાઈએ 1998થી 2012 સુધી 18 બજેટ રજૂ કર્યાં

વજુભાઈ વાળા 18વાર બજેટ રજૂ કરીને રેકોર્ડ કરી ચૂક્યા છે. જેમાં કેશુભાઈ પટેલના મુખ્યમંત્રીકાળ દરમિયાન 1998થી લઈ 2001 સુધી અને ત્યાર બાદ વર્ષ 2002થી નરેન્દ્રમોદીના મુખ્યમંત્રી કાળ દરમિયાન વર્ષ 2014 સુધીમાં 18વાર બજેટ રજૂ કર્યા હતા.

જો કે 2012 બાદ વજુભાઈને બદલે નીતિન પટેલને નાણાંમંત્રી બનાવવામાં આવ્યા અને તેમણે 2014 સુધી બજેટ રજૂ કર્યા હતા. જ્યારે મોદી વડાપ્રધાન બન્યા બાદ રાજ્યના મુખ્યમંત્રી પદે આનંદીબહેન પટેલ આવ્યા અને સૌરભ પટેલ નાણાંમંત્રી બન્યા હતા. પરંતુ વર્ષ 2017માં બનેલી રૂપાણી સરકારમાં નીતિનભાઈ પટેલ ત્રીજીવાર નાણાંમંત્રી બન્યા કુલ 8-વાર બજેટ રજૂ કર્યુ. જેમાં નીતિન પટેલે બેવાર લેખાનુદાન અને 5વાર પૂર્ણ બજેટ રજૂ કર્યું હતું.

રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈ 2025-26 માટેનુ નાણાંકીય અંદાજપત્ર રજૂ કરશે

ચાલુ વર્ષના બજેટમાં સરકારે નવ મ્યુનિસિપલ કોર્પોરેશનની જાહેરાત કરી હતી જેનો અમલ જાન્યુઆરીમાં થઈ ચૂક્યો છે. આથી, આ નવા મહાનગરોના પ્રત્યેક મ્યુનિસિપલ કોર્પોરેશન માટે રૂપિયા 150 કરોડ લેખે રૂ.1,350 કરોડની જોગવાઈ થઈ રહ્યાનું જાણવા મળ્યુ છે. કહેવાય છે કે, નાણામંત્રી જેટલી રકમનુ બજેટ રજૂ કરશે તેના 10 ટકા હિસ્સો શહેરી વિકાસ માટે ફાળવાશે. માત્ર શહેરો જ નહી, ગ્રામિણ ક્ષેત્રોમાં પણ રોજગાર અને અર્થતંત્રને ઉત્તેજન આપવા નવી યોજનાઓ જાહેર થશે.

નવ મહાનગરોની રચના બાદ ગુજરાત સરકાર આગામી નાણાકીય વર્ષના બજેટમાં શહેરો, શહેરીકરણ્ અને નાગરીકોની જીવનશૈલીમાં બદલાવ આવે તે માટે ઈતિહાસમાં પ્રથમવખત સૌથી વધુ ભંડોળ ફાળવવા આગળ વધી રહી છે. જેના માટે રૂપિયા 30 હજાર કરોડથી વધુ રકમની જોગવાઈ થાય તો નવાઈ નહી.


  • Follow us on: