રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે આગામી તહેવારો ચેટીચાંદ અને ઈદ અનુસંધાને તમામ પોલીસ કમિશનર અને પોલીસ અધિક્ષક સાથે વીડિયો કોન્ફરન્સ યોજી હતી જેમાં તહેવારો દરમિયાન રાજ્યભરમાં સુરક્ષા અને શાંતિ સુનિશ્ચિત કરવા માટે ડ્રોન સર્વેલન્સ સહિતના મહત્વના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરી જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.


શાંતિ અને સલામતીનું વાતાવરણ રહેવું જરૂરી

સ્થાનિક સ્તરે શાંતિ સમિતિઓ સાથે બેઠકો યોજી સમન્વય અને સહકાર સુનિશ્ચિત કરવા તેમજ અફવાઓ અંગે ખાસ સોશિયલ મીડિયા મોનીટરીંગ કરવા જરૂરી તાકીદ કરાઈ છે તેમજ રાજ્યના નાગરિકોને સુરક્ષિત અને શાંતિપૂર્ણ વાતાવરણમાં તહેવારોની ઉજવણી કરી શકે તે ઉદ્દેશ સાથે રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયે આજે તમામ પોલીસ કમિશનર અને પોલીસ અધિક્ષક સાથે એક વીડિયો કોન્ફરન્સનું આયોજન કર્યું હતું.આગામી દિવસોમાં આવી રહેલા તહેવારો ચેટીચાંદ અને ઈદને ધ્યાનમાં રાખીને રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તથા શાંતિ અને સલામતીનું વાતાવરણ કાયમ રહે તે હેતુથી આ કોન્ફરન્સ યોજવામાં આવી હતી.

અલગ-અલગ મુદ્દાઓ પર કરાઈ ચર્ચા

આ બેઠકમાં તહેવારો દરમિયાન સુરક્ષા અને શાંતિ જાળવવા માટે વિવિધ મહત્વના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી અને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.આ વીડિયો કોન્ફરન્સમાં સ્થાનિક સ્તરે શાંતિ સમિતિઓ સાથે બેઠકો યોજી સમન્વય અને સહકાર સુનિશ્ચિત કરવા જરૂરી સૂચનાઓ અપાઈ હતી. તે ઉપરાંત મહોલ્લા મિટિંગ, ડીજે-લાઉડ સ્પીકરના પ્રતિબંધિત ઉપયોગ પર નજર, અટકાયતી પગલાઓ, ધાબા ચેકીંગ, વાહન ચેકીંગ તેમજ અલગ અલગ વિસ્તારોમાં વિવિધ સમુદાય સાથે સંવાદ સાધી જરૂરી તકેદારી રાખવા પણ જણાવાયું હતું.

વાહન ચેકિંગ કરવા પણ સૂચના અપાઈ

રાજ્યના પોલીસ વડાએ વીડિયો કોન્ફરન્સમાં તાકીદ કરી હતી કે, ભીડભાડવાળી જગ્યાઓ અને ધાર્મિક સંસ્થાઓ પાસે જરૂરી બંદોબસ્ત રાખવો અને સંવેદનશીલ સ્થળોએ પૂરતી પોલીસ ફોર્સ મૂકીને સુરક્ષા વધારવી તેમજ ડ્રોન સર્વેલન્સ કરાવવું.ખોટી માહિતી અને અફવાઓને રોકવા માટે સ્થાનિક લેવલથી સોશિયલ મીડિયા મોનિટરિંગ રાખવા અને આવા કારણોસર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને અસર ન પડે તે માટે સોશિયલ મીડિયા પર ચાંપતી નજર રાખવા પણ સૂચના આપવામાં આવી હતી.શહેર ગ્રામ્ય વિસ્તારમાં નાકા પોઇન્ટ્સ પર સઘન વાહન ચેકીંગ કરવા તેમજ ભીડવાળા વિસ્તારોમાં પોલીસ તૈનાત કરી નિરીક્ષણ વધારવા અને સતત પેટ્રોલિંગ અને પોલીસ વાહનોની હાજરી દ્વારા લોકોમાં સુરક્ષાની ભાવના જાળવવા રાજ્યના પોલીસ વડા દ્વારા જણાવવામાં આવ્યું છે.રાજ્યના પોલીસ વડાને સાધીને સલામતીના પગલાં લેવા તાકીદ કરી હતી અને તહેવારોના સમયે રાજ્યમાં શાંતિ અને સૌહાર્દ જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવા સૂચના આપવામાં આવી હતી.

  • Follow us on: