- વિવિધ ખાદ્ય પદાર્થના નમૂના લેવાયા
- કેરીના રસ, ઠંડા પીણા, મસાલાના નમૂના લેવાયા
- તમામ નમૂનાઓ પરીક્ષણ માટે મોકલાયા
પાલનપુર ફૂડ વિભાગે ડીસા, પાલનપુર, વડગામમાંથી કેરીના રસના નમૂના અને મરચાના નમૂના લીધા છે.કુલ મળીને 18 નમૂના લેવામાં આવ્યા છે અને તેને પરીક્ષણ માટે મોકલી આપ્યા છે.જોકે સમગ્ર ઘટનામાં ફકત નમૂના જ લેવામાં આવ્યા છે.કોઈ મુદ્દામાલ સિઝ કરવામાં આવ્યો નથી,એક સવાલ એ પણ થાય છે કે,નમૂના ફેઈલ જાય અને માલ વેચી દીધો હોય તો તેના માટે કોણ જવાબદાર રહે તે એક સવાલ છે.
બે દિવસ પહેલા ફટકારાયો દંડ
બનાસકાંઠા જિલ્લાના ડીસામાં ઘી, ફરાળી લોટ અને ચટણી તેમજ મિનરલ પાણીમાં પણ ભેળસેળ હોવાનું સામે આવ્યું છે. ડીસાની કેટલીક પેઢીઓમાંથી સેમ્પલ લેવામાં આવ્યા હતા. સાતેક મહિના અગાઉ ફૂડ વિભાગ દ્વારા આ સેમ્પલ લેવામાં આવ્યા હતા અને તે ફેઈલ રહ્યા હોવાના સમાચાર સામે આવ્યા હતા. ફૂડ વિભાગ દ્વારા લેવામાં આવેલ સેમ્પલ નિષ્ફળ રહ્યા હોવાના રિપોર્ટ સામે આવ્યા બાદ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ખાદ્ય પદાર્થમાં ભેળસેળ થઈ હોવાને લઈ દંડ ફટકારવામાં આવ્યા છે.જેમાં 16 લાખ રુપિયા કરતા વધારે દંડ ફટકારવામાં આવ્યો છે.
22 ફેબ્રુઆરી 2024ના રોજ શંકાસ્પદ ઘી ને લઈ દરોડા કર્યા હતા
ખોરાક અને ઔષધ નિયમન તંત્રને પાલનપુરના ગજાનંદ માર્કેટમાં આવેલા મે. ધાન્વી એન્ટરપ્રાઇઝ ખાતે શંકાસ્પદ ઘી બનાવતા હોવાની બાતમી મળી હતી. જે બાદ ટીમ દ્વારા રેડ કરી પેઢીના માલિક હિતેશ ગોરધન મોદીની હાજરીમાં તેમની પાસેથી અનમોલ પ્રીમિયમ બ્રાન્ડ ઘીના કુલ 6 અને લુઝ ઘીના 1, એમ કુલ 7 નમૂના લેવામાં આવ્યા હતા. જ્યારે 17 લાખની કિંમતનું કુલ 2740 લિટર ઘીનો જથ્થો સ્થળ ઉપર સિઝ કરવામાં આવ્યો હતો.
રિસાયકલ્ડ ટીનને લઈ ફૂડ વિભાગની નજર
રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ફૂડ આઈટમના પેકેજિંગ માટે રિસાયકલ્ડ ટીનના ગેરકાયદે વપરાશ કરતા ઉત્પાદકો પર બાજ નજર રાખવા તમામ જિલ્લાના ડેઝિગ્નેટેડ ઓફિસરોને નિર્દેશ કર્યો છે. ઉત્પાદકો અવાર નવાર રિસાઈકલ્ડ (જૂના ટીન) નો ઉપયોગ કરતાં હોય છે, આવી પેઢીઓની તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવા માટે તંત્રે રાજ્યભરના ડેઝિગ્નેટેડ ઓફિસરોને સૂચના આપી છે. રિસાઇકલ કરાયેલા ટીન પહેલેથી જ એક વખત ઉપયોગમાં લેવાઈ ચૂક્યા હોય છે, ફૂડ આઈટમના વપરાશ પછી ગાહક દ્વારા તેનો નિકાલ કરવામાં આવે છે અને ત્યાર બાદ અનૈતિક રીત રસમ અપનાવી પેકર્સ દ્વારા તેનો પેકિંગ માટે ફરીથી ઉપયોગ કરવામાં આવે છે.