નવ ગુર્જરી નવ શક્તિઅંતર્ગત નવરાત્રિમાં શક્તિના અપાર સ્વરૂપની.તલવારને મા ભવાનીનું સ્વરૂપ માનવામાં આવે છે બીજા અર્થમાં કહીએ તો તલવાર એ શક્તિનું પ્રતીક છે. હે વિશ્વિવજયી તલવાર હે શસ્ત્ર શક્તિ તું સંસારમાં ધર્મ, સત્ય અને ન્યાયની સ્થાપના કરવાવાળી છે. દુરાચાર અન્યાય અને પાપને મટાડવા માટે તારી ઉત્પતિ છે. હે ભવાની.તું તો દુષ્ટ લોકોનાં નાશ કરવાવાળી, રૌદ્રશક્તિવાળી, દુઃખી પ્રજાની રક્ષા કરનારી, સુશાસન આપનારી સૌમ્ય શક્તિ એટલે "તલવાર".
તલવારબાજીની ટ્રેનીંગ
અલપાબા કે જેઓ નવરાત્રિમાં દીકરીઓને તલવારબાજીની ટ્રેનીંગ આપી રહ્યા છે. ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં તલવાર એ નારીના આત્મરક્ષણ અને આત્મસન્માનું પ્રતીક છે. તલવારના વિવિધ પ્રકારો અને તેની સાથે જોડાયેલો ભવ્ય ઇતિહાસ એ ભારતીય યુધ્ધ પ્રણાલીનો વારસો છે.રાજપૂત ક્ષત્રિય તલવારબાજી ગ્રુપ અને રાજપૂત ક્ષત્રિય નારીરત્નના પ્રણેતા અલ્પાબા ચુડાસમાએ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ (તલવારબાજી)માં સ્થાન પ્રાપ્ત કર્યું છે.

બાળપણથી જ તલવારબાજી શીખવામાં ખૂબ રસ
અલ્પાબા જણાવે છે કે, મને બાળપણથી જ તલવારબાજી શીખવામાં ખૂબ રસ હતો. આજે હું જ્યારે દીકરીઓને તલવારીબાજી શીખતા નિહાળું છે ત્યારે મને ખૂબ જ ગર્વની લાગણી થાય છે. મને તલવારબાજી ક્ષેત્રે ઉતરોત્તર પ્રગતિના પંથે લઈ જવામાં રૂપલબા મહાવીરસિંહ રાઓલએ ખૂબ સાથ આપ્યો છે. રાજપૂત તલવારબાજી ગ્રુપ તલવારબાજી ટ્રેનર ગુજરાતના દરેક જિલ્લામાં દર વર્ષે દીકરીઓ તેમજ મહિલાઓને તલવારબાજીની નિઃશુલ્ક ટ્રેનિંગ આપી, આપણી ધરોહર અને આપણો વારસાનું જતન કરી રહ્યું છે. અમે રાજકોટ,બોટાદ, વડોદરા, ભાવનગર, છોટાઉદેપુર, ભરૂચ સહિતના જિલ્લાઓમાં 500થી વધારે દીકરીઓ અને મહિલાઓને તલવારબાજીની તાલીમ આપી છે. જે દીકરીઓ અને મહિલાઓ તલવારબાજીની તાલીમ મેળવે છે તેમને પ્રમાણપત્ર અને શક્તિ સ્વરૂપા તલવાર આપીને સન્માનિત કરવામાં આવે છે.
ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું
રાજકોટ ખાતે રાજવી પરિવારના 17મા ઠાકોર સાહેબ તરીકે શ્રી માંધાતાસિંહ જાડેજાના રાજતિલકના અવસરે તલવારબાજી કરી અલપાબા અને તેમની ટીમે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. અલ્પાબા અને તેમની ટીમે બોટાદ ખાતે સ્વતંત્રતા પર્વ નિમિત્તે જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. ઉપરાંત તેમને અમદાવાદ ખાતે સિને લાઇફ પોપ્યુલર અવોર્ડથી સન્માનિત કરાયા છે તેમજ વડોદરા ખાતે GCMA (ગુજરાત સિને મિડિયા અવોર્ડ)માં પણ પુરસ્કૃત કરાયા હતા.

અલપાબાની વાત આપણાં સૌ માટે ખરેખર પ્રેરણાદાયી છે.
આપણે નોરતાના નવલા નવ દિવસ આદ્યશક્તિ જગદંબાના નવ સ્વરૂપની સાધના કરી રહ્યા છીએ ત્યારે બોટાદ જિલ્લા માહિતી કચેરીની અભિનવ રજૂઆત “નવ ગુર્જરી, નવ શક્તિ” અંતર્ગત વિવિધ લેખો આપને ચોક્કસથી મનની પવિત્રતા, અંતઃકરણની શુદ્ધતા તેમજ સત્કાર્યો દ્વારા સમાજ સેવાની ભાવના અર્પી રહ્યા હશે.