જામનગરમાં બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે. ચેલા ગામ નજીક કારચાલકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું છે જ્યારે અન્ય 8 લોકો ઈજાગ્રસ્ત થયાની વિગતો મળી રહી છે. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા છે.


જામનગર નજીક ચેલા ગામની પાસે આજે બપોરે બારેક વાગ્યાના અરસામાં પુરપાટ ઝડપે આવી રહેલી ખાનગી ટ્રાવેલ્સની લક્ઝરી બસ સામેથી આવી રહેલા બોલેરો પીકપ વેન સાથે ડિવાઈડર કૂદીને ટકરાઈ ગઈ હતી, અને બોલેરો પલટી મારી ગયો હતો, તેમજ લક્ઝરી બસ ટકરાઈને અકસ્માતનો ભોગ બની હતી. જે અકસ્માતમાં બોલેરોના ચાલક મોટા થાવરીયા ગામના જસ્મીન મનસુખભાઈ તાળા (ઉમર વર્ષ 30)ને ગંભીર ઈજા થઈ હોવાથી તેનું ઘટના સ્થળે જ કરુણ મૃત્યુ નીપજ્યું હતું.

આ ઉપરાંત લકઝરી બસની અંદર 8 જેટલા મુસાફરો બેઠા હતા, જે તમામને પણ નાની મોટી ઈજા થઈ હોવાથી અલગ અલગ ચાર 108 એમ્બ્યુલન્સની મારફતે સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જેમાં બે ઈજાગ્રસ્તોની હાલત ગંભીર ગણાવાઇ રહી છે. આ અકસ્માતના બનાવની જાણ થતા પંચકોશી બી.ડિવિઝનનો પોલીસ કાફલો તેમજ ટ્રાફિક શાખાની ટુકડી ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને સૌ પ્રથમ વાહન વ્યવહારને પૂર્વવત બનાવ્યો છે, જયારે સમગ્ર બનાવ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ ચલાવાઇ રહી છે.

  • Follow us on: