જામનગર નજીક આવેલા નાની ખાવડી પંથકમાં હત્યાનો બનાવ સામે આવતા સનસનાટી મચી ગઈ છે. શનિવારે મોડી રાત્રે યુવાનના ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારી યુવાને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો.
નાની ખાવડી ગામની સીમમાંથી યુવાનની લાશ મળી આવી
જે મામલે સ્થાનિક પોલીસને જાણ થતા પોલીસ સ્ટાફ દોડી ગયો હતો. પત્નીને પરેશાન કરતા શખ્સને સમજાવવા જતા મોટાપાયે બોલાચાલી શરૂ થઈ હતી. જેમાં ઉશ્કેરાઈ ગયેલા ટંકારાના શખ્સે છરીના ઘા મારી હત્યા કરતા હાહાકાર મચી ગયો છે. આ મામલે પોલીસે મૃતકના પિતાની ફરિયાદ પરથી આરોપી સામે ગુનો નોંધ્યો છે. જામનગર જિલ્લાના નાની ખાવડી ગામમાં રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા બલભદ્રસિંહ વનરાજસિંહ જાડેજા નામના 21 વર્ષીય યુવાનની નાની ખાવડી ગામની સીમમાંથી લાશ મળી આવી હતી.
તિક્ષ્ણ હથિયારના ઘા જોવા મળતા પોલીસ દોડતી થઈ
યુવાનના ગળામાં તિક્ષ્ણ હથિયારના ઘા જોવા મળતા પોલીસ દોડતી થઈ હતી. પોલીસ દ્વારા યુવાનના મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પોલીસની તપાસમાં યુવક બલભદ્રસિંહ વનરાજસિંહ જાડેજા હોવાનું ખુલ્યું હતું. જે નાની ખાવડી ગામે રહી ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો અને મૂળ અડવાણા પંથકનો વતની હોવાનું બહાર આવ્યું હતું. મૃતકના પિતાની ફરિયાદ પરથી પોલીસે જનકસિંહ વિક્રમસિંહ ઝાલા (રે. ટંકારા) સામે ગુનો નોંધ્યો છે.
પોલીસે આરોપીને ગણતરીની કલાકોમાં ઝડપી પાડ્યો
મૃતક આરોપીના પત્નીને હેરાન કરતો હોય જે મામલે સમજાવવા આવતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. જેને ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા ઉશ્કેરાઈ જઈને આરોપીએ ગળાના ભાગે છરીના ઘા ઝીંકી મોત નિપજાવ્યું હતું. હાલ પોલીસે આરોપી જનકસિંહ વિક્રમસિંહ ઝાલા નામના ટંકારા ગામના સામે ફરિયાદ નોંધી ગણતરીની કલાકોમાં જ ઝડપી પાડ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.













