ગુજરાતના જાણીતા કથાકાર જીગ્નેશ દાદાની તબિયત અચાનક લથડી છે. આણંદમાં ચાલુ કથાએ જીગ્નેશ દાદાની તબિયત લથડી છે. આણંદના લાંભવેલ રોડ પર જીગ્નેશ દાદાની કથા ચાલી રહી હતી અને કથામાં જીગ્નેશ દાદાની તબિયત લથડતા તેમને તાત્કાલિક કથા મંડપમાંથી સીધા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે.


જીગ્નેશ દાદાએ વ્યાસપીઠ પરથી ઈશારો કરી ગાડી મગાવી

ચાલુ કથામાં જીગ્નેશ દાદાએ કહ્યું કે મારું સ્વાસ્થ્ય થોડું બગડ્યું હોવાથી જવું પડશે. વ્યાસપીઠ પરથી તેમને ઈશારો કરીને તાત્કાલિક ગાડી મગાવી લીધી. જીગ્નેશ દાદાને અચાનક જ પરસેવો વળી જતા કથા મોકૂફ રાખવામાં આવી અને તેમને સારવાર માટે તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જો કે હાલમાં જીગ્નેશ દાદાની તબિયત સ્વસ્થ છે. જીગ્નેશ દાદાની તબિયત લથડવાના સમાચાર સાંભળીને હાજર રહેલા તમામ લોકો ચિંતામાં આવી ગયા. 

2020માં જીગ્નેશ દાદાને થયો હતો કોરોના

તમને જણાવી દઈએ કે વર્ષ 2020માં ભાગવત કથાકાર જીગ્નેશ દાદાનો ઓક્સિજન માસ્ક સાથેનો હોસ્પિટલનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. તે સમયે જીગ્નેશ દાદાની તબિયત બગડી હતી. જીગ્નેશ દાદાની તબિયત કોરોનાના કારણે લથડતાં તેમના ચાહકોમાં ચિંતાની લાગણી પ્રસરી હતી. તે સમયે સુરત ખાતે જીગ્નેશ દાદાની સારવાર કરાવવામાં આવી હતી. કથાકાર જીગ્નેશ દાદાનું સ્વાસ્થ્ય ખરાબ હોવાના સમાચાર પ્રસરતાં તેમની તબિયતના સમાચાર પૂછવા માટે પ્રસંશકો એકબીજાને ફોન કરી રહ્યા હતા.

  • Follow us on: