- મતગણતરીના બિલ્ડિંગમાં CSRPF સુરક્ષામાં રહેશે
- મતગણતરી બિલ્ડિંગ બહાર સ્થાનિક પોલીસ સુરક્ષા તથા ટ્રાફિકની વ્યવસ્થામાં રહેશે
- ડીજી લો એન્ડ ઓર્ડર શમશેર સિંહ દ્વારા કરવામાં આવી વીડિયો કોન્ફરન્સ
લોકસભા ચૂંટણીની મત ગણતરી અમદાવાદમાં ગુજરાત કોલેજ અને એલડી એન્જિનિયરિંગ ખાતે થવાની છે, જેને ધ્યાનમાં રાખીને આ બંને સેન્ટર પર થ્રી લેયર સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે. બંને સેન્ટર પર સ્થાનિક પોલીસ, એસઆરપીના જવાનો તેમ જ બીએસએફના જવાનોની થ્રી લેયર સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે.આજે ડીજી લો એન્ડ ઓર્ડર શમશેર સિંહ દ્વારા તમામ પોલીસ કમિશનર, રેન્જ આઈજી તથા જિલ્લા પોલીસ વડાઓ સાથે વિડીયો કોન્ફરન્સ યોજી સમિક્ષા કરવામાં આવી હતી.
અમદાવાદમાં પણ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રહેશે
ઇન્ડરરેસિડેન્સીથી ગુજરાત કોલેજ થઈ કવિ નાથાલાલ ઓવરબ્રિજ નીચે સુધીનો રસ્તો વાહનચાલકો માટે બંધ રહેશે,સોમવારે રાતે 12 વાગ્યાથી મંગળવારે રાતે 12 વાગ્યા સુધી આ રસ્તો વાહનચાલકો માટે બંધ રહેશે બંને સેન્ટરની 100 મીટરની અંદર સામાન્ય માણસોને પ્રવેશવા પર પ્રતિબંધ રહેશે.
વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત માર્ગ/વિસ્તારની વિગત
કોમર્સ કોલેજ બિલ્ડીંગ,ગુજરાત કોલેજ કેમ્પસ, એલીસબ્રીજ,ઇન્દર રેસીડેન્સી ટી થી ગુજરાત કોલેજ થઇ કવિ નાનાલાલ ઓવરબ્રિજ નીચે સુધીનો માર્ગ વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત રહેશે.
વૈકલ્પિક માર્ગની વિગત
1-ટાઉનહૉલ ચાર રસ્તા થઇ ઇન્દર રેસીડેન્સી ટી થઈ કલગી ચાર રસ્તા તરફના માર્ગનો વાહનોની અવર-જવર માટે ઉપયોગ કરી શકાશે.
2- નગરી હોસ્પીટલ ચાર રસ્તા થઇ કવિ નાનાલાલ ઓવરબ્રિજ નીચે ચાર રસ્તાથી જમણી બાજુ સી.એન.આઈ. ચર્ચ સર્કલ તરફના માર્ગનો વાહનોની અવર-જવર માટે ઉપયોગ કરી શકાશે.
3- સી.એન.આઈ. ચર્ચ સર્કલ થી કવિ નાનાલાલ ઓવરબ્રિજ મધ્યભાગ થઇ એલીસબ્રિજ તરફના માર્ગનો વાહનોની અવર- જવર માટે ઉપયોગ કરી શકાશે
સુરક્ષામાં કોઈ ખામી નહી રહે
સેકટર-1ના અધિક પોલીસ કમિશનર નીરજકુમાર બડગુજરે જણાવ્યું કે, બંને સેન્ટર પર 1-1 ડીસીપી, એસીપી, પીઆઈ, પોલીસ કર્મચારીઓ મળીને 1200 કર્મચારી તહેનાત રહેશે. બંને સેન્ટરની બહારના રોડથી સેન્ટરના ગેટ સુધી પોલીસ કર્મચારીઓ તહેનાત રહેશે. ત્યાર બાદ ગેટની અંદર એસઆરપી જવાનો રહેશે જ્યારે મતગણતરી જે રૂમોમાં થશે તેમાં અંદર અને બહાર સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સમાં બીએસએફની ટીમો તહેનાત રહેશે.
કેન્દ્રથી 100 મીટરની અંદર પ્રવેશ પર પ્રતિબંધ
ગુજરાત કોલેજ અને એલડી એન્જિનિયરિંગ કોલેજમાં 4 એપ્રિલે મત ગણતરી થવાની હોવાથી તે બંને સેન્ટરની 100 મીટરની અંદર સામાન્ય માણસોને પ્રવેશવા પર પ્રતિબંધ રહેશે. જે વ્યક્તિ પાસે અંદર પ્રવેશવા માટેનો પાસ કે મંજૂરી હશે તે જ 100 મીટરની અંદર પ્રવેશી શકશે.