144 વર્ષ પછી પ્રયાગરાજમાં મહાકુંભ યોજાઈ રહ્યો છે. મહાકુંભ માટે ભારતના રેલવે તંત્ર દ્વારા દેશભરમાં અનેક ટ્રેનો દોડાવવામાં આવી છે, પરંતુ કચ્છને કોઈ વિશેષ ટ્રેન કે હયાત ટ્રેનમાં કોચ વધારવામાં આવ્યા નથી. કચ્છના લાખો શ્રદ્ધાળુઓને કચ્છથી ડાયરેક્ટ સ્પેશિયલ ટ્રેન કે બસની વ્યવસ્થા કરવામાં આવે તેવી માગ ઉઠી છે.
રેલવે બોર્ડ અને કચ્છના સાંસદને પત્રમાં લખવામાં આવ્યો
શ્રદ્ધાળુઓની મુશ્કેલી નિવારવા ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કચ્છથી મહાકુંભ પહોંચવા માટે પ્રવાસીઓને પડતી મુશ્કેલી દૂર કરવા ઉચ્ચ સ્તરે રજૂઆત પણ કરવામાં આવી છે. જેમાં રેલવે મંત્રી, રેલવે બોર્ડ અને કચ્છના સાંસદને પત્રમાં લખવામાં આવ્યો છે, જેમાં હાલમાં કચ્છથી ગાંધીધામ -હાવડા એક ટ્રેન દોડે છે. પરંતુ સ્પેશિયલ સીધા પ્રયાગરાજ જવા માટે કોઈ ટ્રેન કચ્છથી નથી જઈ રહી માટે જો કચ્છથી મહાકુંભ જવા માટે ઈચ્છતા શ્રદ્ધાળુઓ માટે નવી સ્પેશિયલ ટ્રેન જાહેર કરવામાં આવે તો કચ્છના લાખો લોકોને લાભ મળે તેમ છે. કચ્છથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ સ્નાન માટે જવા ઈચ્છે છે, જેમાં કચ્છના મૂળ વતની અને અહીં વ્યવસાય અર્થે રોજગાર માટે વસવાટ કરતા પરપ્રાંતીય લોકોનો પણ સમાવેશ થાય છે.
પ્રવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે
હાલમાં ટ્રેનની ટિકિટમાં વર્તમાન પરિસ્થિતિમાં ખૂબ અછત વર્તાઈ રહી છે અને લાંબા વેઈટિંગ લિસ્ટના કારણે પ્રવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સમસ્યાના નિવારણ માટે એક વધારાની ટ્રેન દોડાવવી અથવા વર્તમાન ટ્રેનમાં કોચ ઉમેરવા માટે રજુઆત કરવામાં આવી છે. જેમાં માર્ચ 2025 સુધી ભુજથી પ્રયાગરાજ માટે વિશેષ યાત્રાધામ ટ્રેન શરૂ કરવામાં આવે તેમજ વૈકલ્પિક રીતે હાવડા-ગાંધીધામ એક્સપ્રેસમાં યાત્રાળુઓની વધતી સંખ્યાને સમાવવા માટે વધારાના કોચ ઉમેરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.
વોલ્વો બસની ટિકિટ મેળવવામાં કચ્છના શ્રદ્ધાળુઓને મુશ્કેલી
ગુજરાત સરકારે અમદાવાદથી પ્રયાગરાજ જવા માટે એસટી વિભાગની વોલ્વો બસની વ્યવસ્થા પણ શરૂ કરી છે. પરંતુ આ બસની ટિકિટ પણ ફુલ બુક હોય છે, જેથી કચ્છના શ્રદ્ધાળુઓને ટિકિટ મેળવવામાં મુશ્કેલી પડે છે તો સાથે સાથે મહાકુંભમાં જવા માટે પણ વિલંબ થતો જાય છે તો કચ્છથી વોલ્વો બસ પ્રયાગરાજ સુધી જાય અને કચ્છને પણ પૂરતા પ્રમાણમાં વોલ્વો બસ ફાળવવામાં આવે તો લોકોને લાભ થાય તેમ છે.