યાત્રાધામ અંબાજીના 8 નંબર વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા ફેલાવવામાં આવેલા આતંક અને ભયના વાતાવરણને ડામવા માટે અંબાજી પોલીસે આક્રમક વલણ અપનાવ્યું છે.સ્થાનિકોને હેરાન-પરેશાન કરનારા અને કાયદો હાથમાં લેનારા અસામાજિક તત્વો સામે પોલીસ ટીમે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી ઝડપી અને કડક કાર્યવાહી હાથ ધરી છે.
પથ્થરમારો કરી લાકડીઓ વડે હુમલો પણ કર્યો
મળતી માહિતી મુજબ,જ્યારે અંબાજી પોલીસની ટીમ આરોપીઓને પકડવા માટે ઘટનાસ્થળે પહોંચી હતી ત્યારે આરોપીઓએ પોલીસની ફરજમાં અવરોધ ઉભો કર્યો હતો.આટલું જ નહીં, આરોપીઓએ પોલીસ ટીમ પર પથ્થરમારો કરી લાકડીઓ વડે હુમલો પણ કર્યો હતો.આ હુમલામાં પોલીસના વાહનને પણ ભારે નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે.અડગ રહેલી પોલીસે હિંમતપૂર્વક પરિસ્થિતિને કાબૂમાં લઈ 3 આરોપીઓને ઝડપી પાડ્યા હતા.પોલીસે જે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે તેમાં દિનેશ લાડુ ચૌહાણ, વિકા લાડુ ચૌહાણ અને કાળુભાઈ લીમ્બાભાઈ ચૌહાણ નો સમાવેશ થાય છે.













